ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પક્ષમાંથી સાઈડલાઈન કરાયા હોવાની ચર્ચા ઉઠી, હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં બાજુએ મુકાયા
2022ની ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલને લઈ મોટા સમાચાર
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ થયા સાઈડલાઈન
હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ છતાં સાઇડલાઇન કરાયા
2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..જો કે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે જેવા ઘાટ સર્જાયા છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઇ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પક્ષમાંથી સાઈડલાઈન કરાયા હોવાની ચર્ચા ઉઠી છે. હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં બાજુએ મુકાયા છે.
આ અગાઉ હાર્દિક પટેલે હાઇકમાન્ડમાં સાઈડલાઈન થયાની ફરિયાદ કરી હતી. જેમાં ચૂંટણીના સમયે મહત્વ ન અપાયું હોવાનો શૂર ઉઠ્યો હતો. તો રાજ્યપાલની મુલાકાતમાં ડેલીગેશનમાં પણ હાર્દિકનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તો બીજી તરફ કોંગી સિનિયર નેતાઓનો હાર્દિકને સહકાર ન મળતો હોવાની રાવ ઉઠી હતી. મહત્વનું છે કે અગાઉ દિલ્લી જનાર હાર્દિકને તેમની નિષ્ક્રિયતા અંગે અનેક સવાલ કરાયા હતા. કે.સી વેણુગોપાલે હાર્દિક પટેલને કહ્યું કે તેઓ નિષ્ક્રિય છે.
જો કે, આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. 2022ની ચૂંટણીમાં જીત માટે દરેક રાજકીય પક્ષ એક્શનમાં આવી ગયો છે. ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મજબૂત કરવા માટે કમર કસી છે. કાલે ભરતસિંહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઇ હતી. જે અંગે ભરતસિંહ સોલંકીએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા સાથે મારી બે વખત મુલાકાત થઈ છે. આ અંગે રાજીવ સાતવની હયાતીમાં પણ હાઇકમાન્ડ સાથે ચર્ચા થઈ હતી. શંકરસિંહ અંગે હાઈકમાન્ડ ઝડપથી નિર્ણય કરશે. ઉપરાંત કહ્યું કે 2022ની ચૂંટણી અંગે BTP, NCP સાથે ચર્ચા ચાલી રહી છે. છોટુ વસાવા અને જયંતભાઈ સાથે મારી મુલાકાત થઈ છે.