પરિવારના કોઈ મોભીનું મોત થાય તો અનેક લોકો તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. કોઈ તેમની યાદમાં સ્મૂતિ ચિન્હ બનાવે છે તો કોઈ ચબૂતરો કોઈ પંખીઘર તો કોઈ પરબ તો કોઈ સેવાભાવી સંસ્થાઓ બનાવીને દાનધર્મ કરતા હોય છે પરંતુ મહેસાણાના ઉંઝા તાલુકામાં એક પાટીદાર પરિવારે પોતાના મોભીને નવતર રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેનાથી સમાજને લાભ થયો છે અને ગામનો વિકાસ થયો છે.
ઉંઝા તાલુકાના મુક્તપુર ગામના વતની રમેશભાઈને પિતા અનેદાદાઓની સ્મૃતિમાં કંઈક કરવાનો વિચાર આવ્યો અને મહેનત બાદ હીરાભા દત્ત સરોવરનું સર્જન કર્યું. નવા સરોવરનો વિકાસગાળો ભલે ટૂંકો રહ્યો પરંતુ તેનો ખર્ચ અને મહેનત ખૂબ મોટાં છે અને એથીયે લાંબું તેનું મેઈન્ટન્સ છે પરંતુ જેને હૈયે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે તેને આ બધી બાબત અટકાવી શકે તેમ નથી.
ઊંઝા તાલુકાના મુક્તપુર ગામના વતની રમેશભાઈ અને તેમના પુત્ર કલ્પેશભાઈએ પોતના પિતા અને દાદા હીરાભાઇ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક આપવાનું નક્કી કર્યું હતું. તેથી આ ભાવના સાથે તેમણે ગામમાં આવેલ તળાવની પસંદગી કરી. જ્યાં વર્ષોથી બાવળ સિવાય કંઈ જ ઉગતુ ન હતું અને ચોમાસા સિવાય સાવ કોરું રહેતું હતું.
આ તળાવમાં ઉતરતા પણ લોકોને બીક લાગતી પરંતુ રમેશભાઈ અને કલ્પેશભાઈને પગલે આ કાણિયું તળાવ આજે હીરાભા દત્ત તળાવ બની ગયું છે. 6 કરોડના ખર્ચે આ તળાવ હકીકતમાં સાચા હીરા જેવું બની ગયું છે. અહીં યુવાનો માટે કસરતના સાધનો છે તો વડીલો માટે ગ્રંથાલય પણ બનાવાયું છે. અહી ફરવા માટે લાંબો વોક વે પણ બનવાયો છે. તો ફૂલ છોડ આપણા મનને તાજીગીથી ભરી દેવા તૈયાર છે. રિનોવેશન બાદ તેનું હીરાની જેમ નક્શીકામ કરાયું હોય તેવું લાગે છે. હવે ગામના લોકો પણ આ તળાવને જોઈને મોઢું મચકોડતા નથી પણ જોઈને મલકાય છે. કહો કે આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય છે.
એક સમયે રાતના અંધારામાં ભયજનક લાગતું ગામનો કચરો ઠાલવવાનું સ્થળ બની ગયેલું આ પૌરાણિક કાણિયાં તળાવને રમેશભાઇ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રેરણા લઇ પુનઃ નિર્માણ કરવાનું સપનું જોયું. જેને હીરાભા દત્ત સરોવર તરીકે વિકાસ કરી આજે આખરી ઓપ અપાઇ રહ્યો છે. તળાવનું પુનઃ નિર્માણ થતાં ગામલોકોને મનોરંજન મનોરંજન અને શાંતિ માટે હવે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે.
22 સપ્ટેમ્બર 2017માં આ તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ હતી. એક વર્ષના સમયગાળામાં જ તળાવનું નવીનીકરણ પૂરુ કરાયું હતું. નવા વિકસિત કરાયેલા સરોવરની ખાસિયત વિશે વાત કરીએ તો આ સરોવર 10 એકર જમીનમાં તૈયાર થયું છે જેના ફરતે 600 મીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. આ સરોવરમાં 95 લાખ લિટર પાણી સરોવરમાં સમાય તેવી ક્ષમતા છે.
તળાવની ઉંડાઈ 8 મીટરની છે. તળાવકાંઠે 2920 વૃક્ષોનું વાવેતર કરાયું છે. તળાવને કાંઠે દત્ત મંદિર બની રહ્યું છે. તો તળાવ પાસે ઇચ્છાબા પરબ અમથાભા ગાર્ડન જિમ મેનાબા પક્ષીઘર અને જીવીબા ગ્રંથાલય અને નિલેશ ક્રીડાંગણ પણ બનાવાયું છે. જાહેર સુવિધા માટે લેડીઝ-જેન્ટ્સ ટોયલેટ બનવામાં આવ્યું છે.
આ તળાવના નવીનીકરણ માટે એકપણ રૂપિયા સરકારની તિજોરીમાંથી લેવામાં આવ્યો નથી. જેનું લોકાર્પણ સ્વ.હીરાભાઈ પટેલની 3જી પુણ્યતિથિ પર 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આખુ તળાવ 99 વર્ષના ભાડા પર લીધું છે. તેથી હવે આ તળાવ વર્ષોવર્ષ સ્વચ્છ રહેશે. આ સરોવરના કિનારે અજ ગોલ્ડન બ્રિજ નામનો લોખંડનો બ્રિજ બનાવાયો છે જેના પર ચઢીને આખું સરોવર જોઈ શકાશે. આમ હીરાભાની યાદમાં તેમના પુત્રોએ ગામનું ઋણ અદા કરીને અન્યો માટે ઉદાહરણનો દાખલો બેસાડ્યો છે અને આ તળવા જોઈને સ્વર્ગસ્થ વડીલો પોતાના વંશજો પર ગર્વ અનુભવતા તો હશે જ સાથે તેમનો આત્મા ખરા અર્થમાં તૃપ્તિ પામતો હશે.