ધગધગતા તાપની સાથે જ પાણીનું પેટાળ પણ ખાલી થઈ રહ્યું છે. લોકો પાણી માટે બુમરાણ પોકારી રહ્યા છે. પરંતુ પાટણ જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં કદી પણ પાણીની અછત વર્તાતી જ નથી અને આ માટે જવાબદાર છે આ ગામના લોકોની કોઠા સુજ.
ગુજરાતના પાટણ જિલ્લાનું પાણીદાર ગામ પાણીદાર સાંભળતા જ અજીબ લાગશે. પરંતુ હકીકત છે કે જ્યારે એક તરફ રાજ્યમાં જળ સંકટની સ્થિતિ વર્તાઈ રહી છે. જ્યારે બીજી તરફ એક એવું છે જ્યાં પાણીની અછત હોય કે પછી દુષ્કાળની સ્થિતિ હોય પરંતુ આ ગામના લોકો ક્યારેય તરસ્યા નથી રહ્યાં.
કારણ કે આ ગામના લોકોની કોઠા સુજે આજે આ ગામને પાટીદાર બનાવી દીધું છે. આ ગામ પાટણથી 50 કિમીના અંતરે આવેલું એકલવા ગામ છે. પરંતુ જ્યાં લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે. પાણીના સંગ્રહ માટે લોકોએ પોતાના ઘરના આંગણમાં મોટા ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે. જે તેમને બારેમાસ શુદ્ધ પાણી પુરું પાડે છે.
ઉનાળાના કપરા દિવસોમાં પણ આ ગામમાં પાણી નથી ખુટતું કારણ કે અહીં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ગામના દરેક ઘરે વરસાદના પાણીને સંગહ કરવા માટે ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવ્યા છે અને આ ટાંકામાં સંગ્રહ થતાં પાણીનો જ બારેમાસ પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
પાણીના સંગ્રહ વિશે જો વાત કરવામાં આવે તો ગામના લોકોએ માત્ર નજીવા ખર્ચમાં જ પોતાના મકાનની છત તેમજ ધાબા પર પાઈપ લાઈન ગોઠવી છે અને પાણી સંગ્રહ માટે ટાંકા બનાવ્યા છે. પહેલો વરસાદ આવતાની સાથે જ લોકો પોતાના ધાબા અને છાપરાને સ્વચ્છ કરી લે છે અને ત્યારબાદ વરસાદના પાણીને પોતાના ટાંકામાં સંગ્રહ કરી લે છે. જે પાણી ચોમાસા સિવાય આખું વર્ષ આ ગામના લોકો પીવે છે. તો વરસાદી પાણી શુદ્ધ હોવાથી આ ગામના લોકો અનેક બિમારીઓથી પણ બચી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહ્યું છે.
મહત્વનું છે કે આ વિસ્તાર ખારા પાટ વાળો છે. અહીં ભૂગર્ભમાં રહેલુ પાણી ખારૂં છે. જેથી તે માનવીથી લઈને પશુ પણ પી શકતા નથી. પરંતુ એક સેવાભાવી સંસ્થાની મદદથી માત્ર નજીવા ખર્ચમાં ગામના લોકોએ પાણી સંગ્રહ માટે ટાંકીઓ બનાવી છે.
આજે આ ગામમાં આશરે 70 જેટલી વિશાળ ટાંકીઓ આવેલી છે અને તેમાં સંગ્રહાયેલા પાણીએ આજે આ ગામને પાણીદાર બનાવી દીધું છે. આ ગામના લોકોએ તો તરસ્યા ન રહેવા માટે પહેલ ઉઠાવી પરંતુ અન્ય ગામડાઓ પણ આવી પહેલ ક્યારે ઉઠાવશે તે જોવું રહ્યું.