પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં ઘાસના ગોડાઉનમાં આગ લાગ્યાના અહેવાલ મળી રહ્યા છે. વહેલી સવારે ઘાસના ગોડાઉનમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી.
આ આગના કારણે લાખો રૂપિયાના ઘાસ સળગીને રાખ થઈ ગયું છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે મળતી વિગતો મુજબ પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરના ઘાસના ગોડાઉનમાં આજરોજ વહેલી સવારે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી હતી.
જો કે આગ અંગેની તમામ જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ભડકે બળતા ઘાસના ગોડાઉન પર પાણીનો સતત મારો ચલાવ્યો હતો.
સમયસર આવી પહોંચેલ ફાયરફાયટરોને કારણે આગ લાગેલ ઘાસના ગોડાઉન પર કાબૂ મેળવવામાં ઝડપથી સફળતા હાથ લાગી હતી. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થઇ શક્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં સોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.