લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પાસપોર્ટ ઓફિસમાં એક મહિલાએ પાસપોર્ટ અધિક્ષક પર ધર્મના નામે અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે પીએમઓથી લઈને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટ કર્યું છે.
આ મામલે પાસપોર્ટ અધિક્ષક વિકાસ મિશ્રાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. લખનઉમાં રહેતા તન્વી શેઠે વર્ષ 2007માં અનસ સિદ્દીકી સાથે લગ્ન કર્યા અને તેમને છ વર્ષની બાળકી પણ છે.
તન્વીનો દાવો છે કે તેઓ ત્રણેય પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ બનાવવા માટે ગયા. જ્યાં તેઓ ત્રીજા કાઉન્ટર પર ગયા ત્યારે પાસપોર્ટ અધિક્ષક વિકાસ મિશ્રાએ તેમના ધર્મના નામે અપમાન કર્યું.
તન્વીનો આરોપ છે કે ત્યાં હાજર અન્ય અધિકારીઓએ પણ તેમની હાંસી ઉડાવી હતી. વિકાસ મિશ્રાએ દસ્તાવેજ જોયા બાદ મુસલમાન સાથે લગ્ન કરવાને લઈને સવાલ જવાબ શરૂ કરી દીધા.
બાદમાં વિકાસ મિશ્રાએ તેઓને એક જ અટક રાખવાની સલાહ આપી તો અનસ સિદ્દીકીએ તેમનો વિરોધ કર્યો. અનસ સિદ્દીકી આંતરરાષ્ટ્રીય કંપનીમાં કમ્પ્યુટર એન્જીનીયર તરીકે જોબ કરે છે. બાદમાં APO વિજય દ્વિવેદીએ પાસપોર્ટ ઓફિસ તરફથી માફી માગતા તેમની પાસે લેખિતમાં ફરિયાદ માગી.