મોદી સરકાર 1.0 વખતે રાજ્યસભામાં અટકેલું ત્રિપલ તલાક બિલ અંતે મોદી સરકાર 2.0એ માત્ર 15 મતની બહુમતિથી રાજ્યસભામાં પણ પસાર કર્યું છે. અર્થાત્ હવે ત્રિપલ તલાક બિલ પર રાષ્ટ્રપતિની મહોર લાગ્યા બાદ કાયદો બનશે. સંસદે પાસ કરેલું ત્રિપલ તલાક બિલ શું મુસ્લિમ મહિલાઓને સાચો ન્યાય અપાવશે કે પછી માત્ર ભાજપની જુની ગણતરી મુજબની વોટબેંક ઉભી થશે?
ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સદનમાં એવું કહ્યું કે વિશ્વના 20 મુસ્લિમ દેશોમાં પણ ત્રિપલ તલાક પર બૅન છે પણ એ સ્પષ્ટા ના કરી આ દેશમાં કેવી રીતે બૅન અથવા કાયદો છે. જો કે ભાજપે આ બિલ પાસ કરી એક કાંકરે બે પક્ષી માર્યા છે એક તો 9 લાખ મુસ્લિમ મહિલાઓની વોટબેંક પર તરાપ અને પ્રખર હિંદુવાદી વિચારધારાનું સમર્થન.
ત્રિપલ તલાક મુદ્દે મુસ્લિમ ધર્મ આ સ્પષ્ટતા છે
મુસ્લિમ ધર્મના ચાર સ્ત્રોત કુરાન, હદીષ, ઇજમા અને કિયાસમાં ત્રિપલ તલાકની યોગ્યતા વિશે પૂર્ણ સ્પષ્ટાતા કરાયી છે. ત્રિપલ તલાકએ કોઈ મહિલાને તરછોડવાનું નહિં પણ સમાજવ્યવસ્થાને સુરક્ષિત રાખવાં માટેની યોગ્ય વ્યવસ્થા તરીકે ઉલ્લેખાઈ છે. અહીં ઉલ્લેખ છે કે ત્રણ તલાકએ એવી વ્યવસ્થા છે જેમાં પતિ પત્નીને પ્રથમ એક વખત તલાક કહે એટલે આવનાર ત્રણ મહિના સુધી સંભોગ ન કરવો અને એક જ ઘરમાં રહેવા છતાં શારિરીક સંબંધ ન બાંધવો. જો પતિ અને પત્ની આ 3 મહિનાના સમયગાળામાં શારીરિક સંબંધ બાંધે તો તલાક ખારીજ અર્થાત્ એ તલાક ન ગણાય. બીજુ ત્રણ તલાકની વ્યવસ્થામાં પ્રથમ અને બીજા બંને તલાક બાદ પતિ- પત્ની ફરીથી સહમતિથી પાછા સાથે રહી શકે જેનો સમાજ અને ધર્મ વિરોધ ન કરી શકે. માત્ર ત્રીજી તલાક આપ્યા પછી જ તલાક કે છુટાછેડા ગણવાં. જ્યારે સંસદે પાસ કરેલાં બિલમાં આવી કોઈ વાતની સ્પષ્ટાતા કર્યા વગર ‘તલાક... તલાક... તલાક... ’બોલનારાંઓને સીધી જ સજાની જોગવાઈ કરી દીધી.
મુસ્લિમ દેશોમાં બૅન કરેલ ત્રિપલ તલાક બિલ શું છે?
વિશ્વના 20 જેટલાં મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાક બિલ પર ત્યાંની રાજાશાહી અથવા તો લોકશાહીએ બૅન કરી છે. પરંતુ તેમાં કોઈ પણ પ્રકારે મુસ્લિમ સંસ્કૃતિનું ઉલ્લંઘન થતું નથી જો કે તેમાં તો 21મી સદીની નવી વિચારધારાને સમર્થિત કરી ત્રણ તલાકને માત્ર એક જ તલાક સમાજવામાં આવે છે. જો કે આ દેશોની સરકારે મુસ્લિમ ધર્મ ગુરૂઓ અને ધર્મગ્રંથોને આધાર રાખી ત્રણ તલાકની વ્યાખ્યા બદલવામાં આવી છે. આ 20 દેશોમાં ત્રિપલ તલાકના કાયદાથી મહિલા અને પુરૂષ સહિત સમાજને પણ રક્ષણ મળે છે જ્યારે ભારતીય સંસદે પાસ કરેલાં બિલમાં માત્ર મહિલાઓને જ રક્ષણની વાત છે જેનો ગેરઉપયોગ થવાની પૂર્ણ સંભાવના છે.
મુસ્લિમોના ધર્મસ્ત્રોત શું છે
ગુજરાત હાઈકોર્ટના વકિલ મોહમ્મદ તાહિરના જણાવ્યા મુજબ મુસ્લિમ સંસ્કૃતિના ચાર સ્ત્રોતમાં ત્રિપલ તલાક અંગેની પૂર્ણ સ્પષ્ટાતા છે. પ્રથમ ‘કુરાન’ કે જેને મુસ્લિમોમાં ઈશ્વરીય વાણી ગણાઈ છે. દ્વિતિય ‘હદીષ’ કે જે પયગંબર મુહમ્મદ સાહેબના આદેશ, ઉપદેશ અને ક્રિયા પર વર્ણવાયું છે. તૃતિય ‘ઇજમા (Unanimous Agreement)’ કે જેમાં મુસ્લિમ ધાર્મિક અને મુસ્લિમ કાયદા નિષ્ણાંત ઇમામોનું એક સરખાં વિચાર, મંતવ્ય અને નિર્ણયની ચર્ચા છે. જ્યારે ચતુર્થ ‘કિયાસ(Analogy)’ કે જેમાં મુસ્લિમ ધાર્મિક અને મુસ્લિમ કાયદા નિષ્ણાંતો ઇમામોનું કુરાન, હદીષ અને ઇજમાની આધારે નિષ્કર્ષ અને નિર્ણય કરવાની વાત કરાયી છે.