સુરતના એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હોવાની માહિતી મળી છે. એર ઈન્ડિયાની દિલ્લી-સુરત ફ્લાઈટ રદ થતા મુસાફરો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-490 રદ થતા એરપોર્ટ પર મુસાફરો રોષે ભરાયા હતા અને જોરદાર હંગામો મચાવ્યો. સુરતથી રાતે 9.20 વાગે દિલ્લી જનારી આ ફ્લાઇટ રદ થઈ અને મોડી રાત સુધી મુસાફરોને બેસાડી રાખવામાં આવતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તો આ ફ્લાઈટ રદ થતા 150થી પણ વધુ મુસાફરો અટવાયા હતા.
બીજી તરફ એરપોર્ટ ઓથોરીટી દ્વારા પણ મુસાફરોને કોઈ પણ જાતની સૂચના કે માર્ગદર્શન આપવામાં ન આવ્યુ હોવાનું મુસાફરોનો આરોપ છે. ઓથોરીટી દ્વારા મુસાફરોની વાત સાંભળવાના બદલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા યાત્રીઓએ હોબાળો મચાવીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.