સુરતના JCP હરીકૃષ્ણ પટેલના આંદોલનકારીઓ પર કરેલા નિવેદન બાદ PAAS દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. PAASએ JCP હરીકૃષ્ણ પટેલને તાત્કાલિક હટાવવાની માંગણી કરી છે. મહત્વનું છે કે હરીકૃષ્ણએ નિવેદન આપ્યું હતું કે પોલીસ સંયમ રાખે ત્યાં સુધી સારું છે નહીંતર આંદોલનકારીઓને સીધાદોર કરી નાખીશું. આ મામલે PAASએ જણાવ્યું કે કોર્ટ આદેશ કરશે તો જ અલ્પેશ સરેન્ડર કરશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત પોલીસના JCP હરીકૃષ્ણ પટેલ પાટીદાર આંદોલનકારીઓ પર વરસ્યા હતાં. તેમણે ભાવનગરના તળાજામાં કાર્યક્રમ નિવેદન કર્યુ હતું કે પોલીસનો સંયમ તુટશે તો અનર્થ થશે. ગુનો કર્યો હોય તેને છોડાવા પોલીસ સ્ટેશન ન આવતા. નામ લીધા વગર હાર્દિક અને અલ્પેશને પેઈડ એજન્ટ ગણાવ્યા હતાં. કેટલાક લોકો પોલીસ વિરુદ્વ ઉશ્કેરી રહ્યાં છે. કેટલાક લોકો આંદોલનનો પછેડો ઓઢી પોલીસને બદનામ કરે છે.
હરીકૃષ્ણ પટેલે પોલીસની કામગીરીના વખાણ કર્યા હતાં. પોલીસે પોતાની મર્યાદામાં રહીને કામ કર્યું છે. પોલીસે કોઇના પર બળપ્રયોગ કર્યો નથી. ટોળે વળતા લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
મહત્વનું છે કે થોડાં દિવસ અગાઉ કોર્ટે અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા બાદ અલ્પેશની ધરપકડ થવાની બાકી છે. અલ્પેશ કથિરીયાએ જેલમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જે બાદ પોલીસે અલ્પેશના જામીન રદ કરવા માટે કોર્ટમાં એક અરજી કરી હતી જેને કોર્ટે મંજૂર રાખી હતી. જેથી અલ્પેશના જામીન રદ કરી દેતા હવે તેની ધરપકડ માટે પોલીસ શોધી રહી છે. આવામાં PAASના સભ્યોએ કહ્યું છે કે કોર્ટ કહેશે ત્યારે અલ્પેશ સરેન્ડર કરી દેશે.