AMC તથા GPCBએ ઔદ્યોગિક એકમો માટે વપરાતા ઓક્સિજન પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂક્યો અને 1500 જેટલા ઓક્સિજન સિલિન્ડર મેડિકલ વપરાશ માટે ડાયવર્ટ કરાયા
અમદાવાદ બેકાબુ કોરોના સામે તંત્ર થયું દોડતું
AMC દ્વારા ઓક્સિજન મામલે નિર્ણય
1500 ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલને અપાશે
ગુજરાતભરમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. સરકારીની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થયા છે. દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશનની માગ પણ વધી રહી છે. અને ઓક્સિજનની અછતને લઈ પણ લોકો સમસ્યામાં છે. આ વચ્ચે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હાલમાં GPCBએ ઉદ્યોગ ક્ષેત્ર મોકલવામાં આવતા ઓક્સિજન પર રોક લગાવી દીધી છે. અને 1500 જેટલા ઓક્સિજનના સિલિન્ડરને હોસ્પિટલમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે.
મહત્વનું છે કે, અમદાવાદ, સુરત સહિત તમામ મોટા શહેરોમાં ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના સમાચાર રોજબરોજ આવી રહ્યા છે. અને દર્દીઓના સગા સંબંધી પણ આ મુદ્દે નારાજગી દર્શાવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ માટે હાલમાં AMC અને GPCBએ મહત્વનો નિર્ણય લીધો છે. ઉદ્યોગોને મળતા ઓક્સિજનનો જથ્થો હાલ પુરતો રોકી અને પ્રાઈવેટ હોસ્પિટલને સપ્લાય કરવામાં આવશે. જેનાથી વેન્ટિલેટર પર રહેલા દર્દીઓને પુરતો ઓક્સિજન પહોંચાડી શકાશે.
અમદાવાદ કોરોનાના વધતા કેસો સામે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેને પગલે DyCM નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નીતિન પટેલ અમદાવાદની UN મેહતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને અહીં બેઠક યોજી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આરોગ્ય અગ્રસચિવ, આરોગ્ય કમિશનર પણ જોડાયા હતા. તેમણે અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા અંગે માહિતી મેળવી હતી અને વણસતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું ઈલાજ થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા શરૂ કરી હતી.
શું કહ્યુ નીતિન પટેલે?
કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે નીતિન પટેલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા જ્યાં DyCM નીતિન પટેલે રાજ્યની સ્થિતિને લઈને નિવેદન આપ્યું છે. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. કોરગ્રુપની સૂચના પ્રમાણે કામગીરી ચાલી રહી છે. 108માં અનેક ઘણા કેસ આવી રહ્યાં છે. 108માં હજુ પણ 300-400 કોલનું વેઇટિંગ છે. ડૉક્ટર્સ અને સ્ટાફ રજા લીધા વિના કામ કરી રહ્યા છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા કરાઇ છે. 50 ટન કરતા વધુ ઓક્સિજન રોજનો વપરાય છે. જરૂરિયાત પ્રમાણે દર્દીઓને ઇન્જેક્શન અપાઇ રહ્યાં છે. ઓક્સિજન લેવલ 85થી નીચે જાય તો જ દાખલ થવાનો આગ્રહ રાખો.