17મી લોકસભાનું પહેલું સત્ર આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે. ચોમાસુ સત્ર યોગ્ય રીતે ચલાવવા માટે સંસદમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સપા નેતા રામગોપાલ યાદવ અને ભાજપના નેતા થાવર ચંદ ગહલોતે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા.
સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ ઉપરાંત આજે સાંજે જ સંસદમાં એનડીએની બેઠક થશે. જેમા સત્ર માટે રણનીતિ બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવીએ કે, સંસદ સત્રના યોગ્ય સંચાલનમાં કોંગ્રેસનો સહયોગ માંગવા માટે શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળ પ્રમુખ સોનિયા ગાંધી સાથે પ્રહ્લાદ જોશીએ મુલાકાત કરી હતી. એમની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને અર્જુન રામ મેઘવાલ પણ હતા.
જોશીએ સોનિયાના આવાસમાં યોજાયેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતમાં કહ્યું કે, ' સોનિયા ગાંધીની સાથે અમારી બેઠક સૌહાર્દપૂર્ણ રહી. અમે સંસદની સુચારૂ કાર્યપ્રણાલી માટે તેમનો સહયોગ માંગ્યો છે. એમણે કહ્યું કે એમને (વિપક્ષ)ને પણ સરકારના સહયોગની આવશ્યક્તા છે. મેં એમને જણાવ્યું કે સરકાર સહયોગ કરવા માટે હંમેશા તૈયાર છે.
17મી લોકસભાના પહેલા સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે. જે 26 જુલાઇ સુધી ચાલશે અને બજેટ 5 જુલાઇએ રજુ થશે. સૂત્રો જણાવી રહ્યા છે કે, જોશીની સોનિયા ગાંધી સાથે આવાસ પર મુલાકાત વિપક્ષ સાથે તાલમેલ બેઠાડવાની સરકારની કવાયતનો હિસ્સો છે.