સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ વખતે ચોમાસુ સત્ર દરમિયાન સેન્ટ્રલ હોલમાં માત્ર હાલના સાંસદને જ એન્ટ્રી આપવામાં આવશે. આ ઉપરાંત બીજા કોઈને અંદર જવાની મંજૂરી નહીં આપવામાં આવે.
કેન્ટીનમાં ચા પેપર કપમાં જ મળશે. તમામ ભોજન ડિસ્પોજલમાં જ મળશે. લંચ સમયે કેન્ટીનમાં વેજ થાળી ૧૦૫ રૂપિયામાં અને નોન વેજ થાળી ૧૫૦ રૂપિયામાં મળશે. ૧૧૦ રૂપિયામાં સાઉથ ઈન્ડિયન વાનગીઓ મળશે. કેન્ટીનમાં વેજ બિરયાની રાયતા સાથે ૭૫ રૂપિયામાં મળશે. બીજી તરફ ચિકન બિરયાની ૧૦૦ રૂપિયામાં મળશે. પૌંઆ ૫૫ રૂપિયામાં મળશે.
સંસદના ચોમાસુ સત્રનો આરંભ થયો
કોરોનાકાળ વચ્ચે આજે સંસદના ચોમાસુ સત્રનો આરંભ થયો હતો. ચોમાસુ સત્રના આરંભે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને સંસદે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ લદ્દાખના મામલે લોકસભામાં સભામોકૂફી પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સંસદ સત્રના આરંભે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપતાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે પ્રણવ મુખરજી એક સફળ વકતા અને પ્રશાસક હતા. તેમનાં જ્ઞાન અને અનુભવ અદ્વિતીય હતાં.
દરમિયાન આજે શરૂ થયેેલા સંસદના ચોમાસુ સત્ર પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં પહોંચી ગયા હતા. તેમણે ચોમાસુ સત્રના પ્રારંભ પૂર્વે જણાવ્યું હતું કે એક તરફ કોરોના છે અને બીજી તરફ કર્તવ્ય છે. સાંસદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો છે તે બદલ હું તેમને ધન્યવાદ આપું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જ્યારે આપણી સેનાના વીર જવાન સરહદ પર અડીખમ ઊભા છે ત્યારે તેમને હું ધન્યવાદ આપું છું. આ વીર જવાનો હિંમતપૂર્વક સિદ્ધાંતો સાથે અને બુલંદ વિશ્વાસ સાથે દુર્ગમ પહાડીમાં તહેનાત છે. હું તેમને અપીલ કરું છું કે તેઓ માતૃભૂમિના રક્ષણ કાજે સરહદ પર અડીખમ ટકી રહે.