દિપેન ભદ્રનને SP જામનગર તરીકે મુકાતા રાજ્યસભાના MP પરિમલ નથવાણીએ આ નિર્ણયને આવકાર્યો છે.
રાજ્યસભાના MP, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મુકેશ અંબાણીના નિકટના ગણાતા પરિમલ નથવાણીએ ગુજરાત કેડરના IPS અધિકારી દિપેન ભદ્રનને અમદાવાદ ક્રાઈમમાંથી બદલીને જામનગર SP તરીકે મુકતા આ નિર્ણયને આવકાર્યો છે. પરિમલ નથવાણીએ કહ્યું છે કે આ નિર્ણયથી જામનગરમાં ગુનાખોરીમાં સારા એવા પ્રમાણમાં સુધારો આવશે.
આ મુદ્દે તેમણે એક સાથે ત્રણ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ દિપેન ભદ્રનને જામનગરમાં SP તરીકે આવકારે છે. તેમનું જામનગરમાં પોસ્ટિંગ થવાથી જામનગરની કાયદાનું પાલન કરતા સામાન્ય લોકો, બિલ્ડરો, જમીનના માલીકો અને ઉદ્યોગ ધંધાના માલિકોને ખૂબ ફાયદો થશે.
તેમણે જણાવ્યું હતું કે દિપેન ભદ્રનના આ પોસ્ટિંગના પગલે જામનગરમાં ગુનાખોરી ઘટશે.તેઓ તેમના અનુભવના પગલે ગુનેગારોને ડામી શકશે. આ સાથે તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે આ વિસ્તારના રેંજના IG સંદીપ સિંઘ ઉપર એવા આક્ષેપો છે કે તેમણે ગુનેગારો સાથે કેટલાક રાજકારણીઓ સાથે મળીને કેટલાક કેસ સેટલ કરી દીધા હતા. જો કે તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેઓ નથી જાણતા કે આ વાત સાચી છે કે નહીં.
તેમણે SP દિપેન ભદ્રનને બોલ્ડ અને ડાયનેમિક અધિકારી ગણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ એક સ્પેશ્યલ મિશન ઉપર છે અને તેઓ રાજકીય નેતાઓની રહેમરાહે કામ કરી રહેલા ગુનેગારોનો સફાયો કરશે અને જામનગરમાં શાંતિ સ્થાપિત કરશે.
જામનગરમાં માફિયારાજને ડામવા દિલ્હીથી આદેશ આવ્યો હોવાના અહેવાલ
ઉલ્લેખનીય છે કે જામનગરમાં વધતી ગુનાખોરીને ડામવા માટે કાબેલ અધિકારી દિપેન ભદ્રનને જામનગર મુકવામાં આવે તેવા દિલ્હીથી આદેશ આપવામાં આવ્યા હતા તેવો સૌપ્રથમ અહેવાલ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે VTVGujarati.comએ પ્રકાશિત કર્યો હતો. ગુજરાતમાં જમીન માફિયાઓની વાત આવે ત્યારે જામનગરમાં જયેશ પટેલ અને જસપાલસિંહનું નામ ન આવે તેવું બને નહીં. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલનું નામ બીટકોઈન કૌભાંડમાં પણ સંડોવાયેલું છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યામાં પણ જયેશ પટેલની સંડોવણીના આરોપ લાગી ચૂક્યાં છે. જ્યારે બીજી બાજુ આંતરાષ્ટ્રીય માફિયા ગેંગ સાથે પણ તેના કનેક્શન છે તે જગજાહેર છે. આવામાં હજુ સુધી ગુજરાત સરકાર જયેશ પટેલ જેવા રીઢા ગુનેગારને શોધવામાં નિષ્ફ્ળ ગઈ છે. ત્યારે માનવામાં આવે છે કે જયેશ પટેલના માફિયારાજને ડામવા માટે દિલ્હીના આદેશ પર અમદાવાદના સિનિયર IPS અધિકારીને જામનગર ખાતે મૂકવામાં આવ્યાં છે.
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કફોડી
મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લો ઍન્ડ ઑર્ડરની કથળતી સ્થિતિ અવાન નવાર સમાચારની હેડલાઈન્સ બનતી રહી છે. જે હવે રાજ્ય સરકારથી ઉપર કેન્દ્ર સરકારની પણ આંખે ઉડીને વળગી છે. જામનગરમાં ખાસ કરીને જમીન માફિયાઓનું કદ ઘણું વધ્યું છે જેને કાપવા માટે હવે કેન્દ્રએ કમર કસી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી જમીન પચાવવી, મર્ડર અને બુટલેગરો સાથે સાંઠગાંઠની ઘટનાઓનું પ્રમાણ વધતાં જામનગરમાં ક્રાઈમનો ગ્રાફ ઘણો ઊંચો જઈ રહ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં પોલીસ અધિકારીઓની નિમણૂકમાં કેન્દ્રએ એટલે હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે કે કારણકે રૂપાણી સરકારમાં જમીન માફિયાઓએ માથુ ઊંચક્યું છે. જેમાં ખાસ કરીને જામનગર હોય કે સુરત શહેરમાં અનેક વખતે જમીન કૌભાંડ અને તેની લેતી-દેતીમાં મર્ડર તેમ જ આપઘાતના કિસ્સાઓ બહાર આવ્યાં છે.