ઉલ્લેખનીય છે કે, પરીક્ષાર્થીઓ માટે યોજાનારા આ ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પૂછી શકશે અને સીધો સંવાદ સાધી શકશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિદ્યાર્થી સાથે પરીક્ષાલક્ષી સાથે સાથે જીવનલક્ષી ચર્ચા પણ કરશે. આ કાર્યક્રમનું દેશભરની 15 લાખ શૈક્ષણિક સંસ્થાઓમાં સીધું પ્રસારણ થશે. કાર્યક્રમનો હેતું વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને પરીક્ષા આપે તેવો છે.
શહેરી અને ગ્રામિણ વિસ્તારમાંથી બરાબર સંખ્યામાં વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પહેલીવાર શહેરી અને ગ્રામિણ વિસ્તારમાંથી બરાબર સંખ્યામાં વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સંખ્યા પણ એક સરખી રખાઈ છે અને જે વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં સામેલ નહીં થઈ શકે તેઓ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નીહાળી શકશે.
સવારે 11 વાગે શરૂ થશે આ કાર્યક્રમ
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે અને યુટ્યુબ પર જીવંત પ્રસારિત થશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એવા વિદ્યાર્થીઓની પસંદગી કરી છે કે જેઓ પાંચ વિષયો પર પ્રસ્તુત નિબંધોના આધારે વડા પ્રધાનને પ્રશ્નો પૂછશે.