રાજકોટના વીરપુરમાં કથાકાર મોરારીબાપુએ રાષ્ટ્રવાદ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું, કે રાષ્ટ્રહિત માટે તમામને એક થવું જોઈએ. પરંતુ અમુક લોકોને ફક્ત નિંદા જ કરવી છે. બીજી તરફ બાપુએ અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરતાં વિવાદ સર્જાયો છે. ત્યારે હવે મોરારી બાપુના નિવેદન પર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે.
મોરારી બાપુના નિવેદન પર પરેશ ધાનાણીનું ટ્વીટ
રામાયણના સંદર્ભ સાથે આપ્યો જવાબ
પ્રજાસત્તાક દિવસે મોરારી બાપુએ આપ્યું હતું નિવેદન
કથાની રામાયણના હેડર સાથે પરેશ ધાનાણીએ મોરારિબાપુને આડકતરો જવાબ આપ્યો છે. ધાનાણીએ ટ્વિટમાં લખ્યું કે, રાવણ પણ શીવભક્ત, શૂરવીર અને વિદ્ધાન હતો. રાવણની કરતૂતોથી મુક્તિ માટે જ રામાયણ રચાઇ હતી. રાવણના પાત્રને નમ્ર પણે ન્યાયનો પ્રયાસ. ન્યાયના પ્રયાસમાં વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય. વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય એ જ રામરાજ્ય.
""કથા ની રામાયણ""
'રાવણ' પણ શીવભક્ત, શૂરવીર અને ખૂબ
વિદ્વાન હતો, પરંતુ એના કાળા કરતૂતો થી
"કલંકિત રાજ" ને મુક્તિ અપાવવા માટે જ
રામાયણ રચાઈ હતી..,
'રાવણ'ના પાત્રને નમ્ર પણે ન્યાય આપવાના
પ્રયાસમા ક્યાંક 'વાનર' અને 'ખિસકોલી'ના
યોગદાનની ઉપેક્ષા ન થાય ઈ 'રામ રાજ્ય'.!
સરદાર પટેલને કોઈ તડીપાર વ્યક્તિ સાથે સરખાવ્યા: અમિત ચાવડા
ભાવનગરના વલ્લભીપુર ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. અમિતશાહ પર મોરારીબાપુના નિવેદન અંગે ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. ચાવડાએ કહ્યું કે, મોરારીબાપુના આવા નિવેદન આપે તેનાથી દુઃખ થયુ. સરદાર પટેલને કોઈ તડીપાર વ્યક્તિ સાથે સરખાવ્યા.
શું કહ્યું હતું મોરારી બાપુએ ?
વિરપુરમાં કથા દરમિયાન મોરારીબાપુએ સ્પષ્ટતા પણ કરી અને કહ્યું હતું કે મને એવું લાગે છે તે તેઓ સરદારના પગલે ચાલી રહ્યા છે. તો રાષ્ટ્રવાદની વાત કરતાં બાપુએ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા. મોરારી બાપુએ કહ્યું હતું કે મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મારે કોઈ વ્હાલા કે દવલા પણ નથી. પરંતુ શું બંધારણની મર્યાદામાં સૌના હિત માટે પગલાં ન ઉઠાવાય ? રાષ્ટ્રની અંદર કોઈ ગરબડ કરતું હોત તો પગલાં ન લેવાય ? જે સરકાર કામ કરતી હોય તે બંધારણની મર્યાદામાં પગલાં ન લઈ શકે ? રાષ્ટ્રને ટુકડે ટુકડાં કરવા મથતી સંસ્થાઓ સામે પગલાં ન લઈ શકાય ? 70 વર્ષ પછી એક બે કલમ બદલી ન શકાય ?
મોરારીબાપુએ અમિત શાહની સરદાર સાથે સરખામણી કરી કહ્યું હતું કે, અમિત શાહ નિર્ણય લે ત્યારે સરદારની યાદ આવે છે. બધા સાથે રહીએ, સાથે બોલીએ. બધારાષ્ટ્ર પોતપોતાના હિતનુ વિચારે જ છે. થોડીક સરદારની યાદ અપાવે તેવા અમિતભાઈ શાહ છે. હિંમત પૂર્વક નિર્ણય લેનારા અમિતભાઈ શાહ.