ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં મગફળી કાંડ અને શિક્ષણ વ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
મગફળીકાંડને લઇ સરકારને ઘેરતાં પરેશ ધાનાણીએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં 4 હજાર કરોડનું મગફળીકાંડ થયો છે. મગફળીમાં માટી-પથ્થર નીકળે છે પરંતુ સરકાર દોષિતો સામે પગલા નથી ભરતી. ત્યારે જવાબદારો સામે સખત પગલા ભરવામાં આવે તેવી માગ કરાઇ રહી છે.
આ ઉપરાંત શિક્ષણ વ્યવસ્થાને લઇ પરેશ ધાનાણીએ કહ્યું કે, શિક્ષણમાં કરોડો રૂપિયાનું બજેટ છતા સ્તર નીચું જઇ રહ્યું છે. 2017થી અત્યાર સુધીમાં 17 હજાર પ્રાથમિક શાળા બંધ થઇ છે. અને ખાનગી શાળાઓનું પ્રમાણ વધ્યું છે. એટલે ગુજરાતનું ભાવિ ખાનગી શાળામાં જઇ રહ્યું છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પહેલા ખેડૂતોને 2 હજાર આપવાની વાત હતી, પરંતુ તેમને મળ્યા નથી. ખાતર, વીજ, સિંચાઇ સહિત ખેડૂતના ઓઝારો પર ભાવ વધારો કરી દેવાયો છે અને વીજ ઉત્પાદનનું પ્રમાણ વધવા છતા ખેડૂતોને વીજળી નથી મળતી.