અમદાવાદઃ પેપર લીક મુદ્દે હવે વિપક્ષ સરકારને ઘેરી લેવાના મૂડમાં છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાત કરતા ભાજપ પર નિશાન સાધ્યું છે. ધાનાણીએ કહ્યું કે બેરોજગારીના ખપ્પરમાં યુવાનો હોમાઈ રહ્યા છે. પંચાયત તલાટી જુનિયર ક્લાર્ક માટે 23 લાખ લોકો લાઈનમાં રહ્યા જ્યારે વન રક્ષક ભરતી માટે 6 લાખ લોકો અને મુખ્ય સેવિકાની ભરતીમાં 2 લાખ લોકો લાઈનમાં ઉભા રહ્યા.
દરેક ઉમેદવારોને બીજા જિલ્લામાં પરિક્ષા આપવા માટે ધકેલાયા. હજારો રૂપિયા ખર્ચી ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા. પરંતુ આ સરકારે આ તમામ યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવ્યો.
આ સાથે જ ધાનાણીએ સમગ્ર કૌભાંડના તાર કમલમ્ સાથે જોડાયેલા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. ધાનાણીએ કહ્યું કે પેપર કાંડમાં કમલમના કાર્યકર્તાઓએ લાખો રૂપિયા ઉઘરાવ્યા છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ભાજપનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું છે. એટલું જ નહીં પરંતુ લોકરક્ષકની ભરતીમાં ચેડાં કરનારના તાર પણ કમલમથી સ્વર્ણિમ સંકૂલ સુધી જોડાયેલા છે. સ્વર્ણિમ સંકૂલમાં બેઠેલા લોકોના માર્ગદર્શન નીચે પરીક્ષાના પેપર વેચાયા છે.
વધુમાં તેમણે કહ્યું કે પેપર ફુટવાનુ કાંડ 9 લાખ યુવાનોના નસીબને ફોડનારું નીવડ્યું. 2005થી ગૌણ સેવા પસંદગી સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી. 55 લાખ શિક્ષિત અર્ધશિક્ષિત યુવાનો ભટકી રહ્યા છે. ભાજપનો ભાંડો ફૂટતા પરીક્ષાઓ સ્થગિત કરવાની ફરજ પડી. આ સમગ્ર કાંડને લઈને મુખ્યમંત્રી માફી માગે.
મોટા માથાઓના ઇશારે લોકરક્ષકનું પેપર ફૂટ્યું છે. પરંતુ મોટા માથાને બચાવવા માટે નાની માછલીઓને પકડી સંતોષ માનવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ સમગ્ર કૌભાંડમાં મોટા માથા સુધી પહોંચી શકે છે કે પછી પોલીસ પર દબાણ કરી સમગ્ર મામલાને દબાવી દેવામાં આવે છે.