લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથેની પ્રચંડ જીતથી મોદી લહેરમાં સમગ્ર દેશમાં ભગવો લહેરાઇ ગયો છે. પીએમ મોદીની આગેવાનીમાં NDAને પ્રચંડ બહુમત મળ્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ મોદી લહેર સામે કોંગ્રેસ ઘર ભેગી થઈ ગઇ એમ કહીએ તો પણ ચાલે. કેમ કે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભગવો લહેરાયો છે. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હોવાંની અટકળો વહેતી થઇ છે.
નૈતિકતાનાં ધોરણે પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે પરેશ ધાનાણીએ રાજીનામાને લઇને પોતાનો પ્રસ્તાવ મૂક્યો છે. એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણીમાં નબળા પરિણામોની પરેશ ધાનાણીએ જવાબદારી પણ સ્વીકારી છે. કોંગ્રેસનાં અન્ય ચહેરાને વિપક્ષ નેતા પદે સ્થાન આપવા અંગેની પરેશ ધાનાણીએ રજૂઆત કરી છે જેવી ચર્ચાઓ વહી રહી છે.
ગુજરાતમાં લોકસભાની બેઠકોની જીત માટે કોંગ્રેસે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવનાર ધારાસભ્યોને જંગમાં ઉતાર્યા હતાં. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સારી એવી બેઠકો પણ મળી હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની બેઠકોમાં ગાબડું ના પાડી શકી. ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાઈકમાન્ડ સમક્ષ રાજીનામાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજે અધ્યક્ષપદ છોડવા માટે વળગી રહેલા રાહુલ ગાંધીને મનાવવા માટે કોંગ્રેસનાં નેતાઓએ એડી-ચોટીનું જોર લગાવ્યું છે. રાહુલ ગાંધી કેટલીક શરતો સાથે કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. સૂત્રો અનુસાર આજે સવારે કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી, નેતા રણદીપ સૂરજેવાલા તેમને મળવા ગયા હતાં અને અધ્યક્ષ પદે રાહુલ ગાંધીને ચાલુ રહેવા તેઓને મનાવ્યા હતાં.
વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ રાહુલ ગાંધીને સમજાવ્યાં હતા. આ બેઠક બાદ સંમતિ સધાઇ હતી. અહેવાલો અનુસાર રાહુલ ગાંધીને હાલ કોંગ્રેસનાં અધ્યક્ષ પદે ચાલુ રહેવા જણાવવામાં આવ્યું છે. કારણ કે હાલમાં પક્ષને કોઇ જ નવો વિકલ્પ મળી રહ્યો નથી.
રાહુલ ગાંધીને એવું પણ જણાવાયું હતું કે તેઓ અધ્યક્ષ તરીકે પક્ષમાં પોતાની મરજી મુજબ બદલાવ કરી શકે છે. આમ, રાહુલ ગાંધીને પક્ષમાં ફેરફાર કરવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. ત્યાર બાદ રાહુલ ગાંધી નરમ પડ્યાં હતાં.
બીજી બાજુ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ-ટીએમસી વચ્ચે તણાવ અને હિંસા વચ્ચે લોકસભા ચૂંટણી બાદ મમતા બેનરજીનાં ગઢમાં એક વાર ફરી ગાબડુ પડ્યું હોવાનાં ખબર છે. જેમાં ટીએમસીનાં ત્રણ ધારાસભ્યો અને કેટલાંક કાઉન્સિલર ભાજપમાં શામેલ થયાં હતાં.