રાજકોટઃ સૌરાષ્ટ્રમાં થયેલા મગફળીકાંડ મામલે રાજકોટ સહિત અલગ અલગ વિસ્તારમાં ધરણા કર્યા બાદ પરેશ ધાનાણી હવે આજથી અમદાવાદમાં ગાંધી આશ્રમ સામે ઉપવાસ આંદોલન પર બેઠા છે. પરેશ ધાનાણીને ઉપવાસ આંદોલન માટે પોલીસે મંજૂરી આપી હતી. પરેશ ધાનાણી ગાંધીઆશ્રમ સામે 72 કલાક ઉપવાસ આંદોલન કરશે.
મહત્વનું છે કે પરેશ ધાનાણી મગફળી કાંડમાં ન્યાયિક તપાસની માગ કરી રહ્યા છે. તો ધાનાણીના ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. સાથે જ પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે જરૂર પડશે તો ઉપવાસ આંદોલનનો સમય પણ વધારવામાં આવશે.
ધાનાણીના સરકારને સવાલઃ
માછલા પકડીને પુર્યા છે જેલમાં અને મગરમચ્છો શું કામ ફરી રહ્યા છે મહેલમાં? ગુનેગારો કરી રહ્યા છે મજા અને ફરિયાદીને શું કામે કરી રહ્યા છો સજા? મગફળીના કોથળામાંથી માટી-પથ્થર અને કાંકરા શું કામ નિકળી રહ્યા છે? કૌભાંડીઓને બચાવવા માટે સરકાર શું કામ હવાતીયા મારી રહી છે? મગફળીના ગોડાઉનોમાં આગ કોના ઈશારે લાગી રહી છે? મોંઘી મગફળી કયા મળતીયાઓની મીલમાં પિલાઈ રહી છે?
ભ્રષ્ટાચારીઓને જેલના સળીયા પાછળ ધકેલતા સરકાર શું કામ ડરી રહી છે? મગફળીકાંડની નિષ્પક્ષ અને ન્યાયીક તપાસ માટે સરકાર કેમ ડરે છે? કૌભાંડીઓને છાવનારી સરકાર સવાલ પુછનારાને શું કામ ધમકાવી રહી છે?