ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યની વિપક્ષ પાર્ટીમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં યોજાનારી આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના વધુ 4 ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે વિપક્ષના નેતાએ સરકારને ટોણો મારતા ટ્વિટ કરી પૂછ્યું કે શું હવે 'ધમણ' ની કમાણીથી રાજ્ય સરકારે ધારાસભ્યો ખરીદવાનું શરૂ કર્યું ?
વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય ત્રણ ધારાસભ્યના રાજીનામાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના આ ચારેય ધારાસભ્યની રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર પર નિશાન તાક્યું છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. અક્ષય પટેલે રાજીનામું આપ્યું હોવાની અટકળ વચ્ચે ધાનાણીએ ટ્વીટમાં લખ્યુ છે કે, શું હવે "ધમણ" ની કમાણીથી ધારાસભ્યોને ખરીદવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ 4 ધારાસભ્યો રાજીનામું આવે તેવી અટકળોએ જોર પક્ડયું છે.
કરજણના ધારાસભ્યએ રાજીનામુ આપ્યાની ચર્ચા
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક MLAના રાજીનામાની ચર્ચા હાલ ગાંધીનગરના રાજકારણને ગરમ કરી રહી છે. કરજણના ધારાસભ્યએ રાજીનામુ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે. અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. ગઈકાલથી અક્ષય પટેલ સંપર્કવિહોણા થયા છે.