રાજ્ય વિધાનસભા ગૃહમાં આજરોજ કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાને લઇને હોબાળો જોવા મળ્યો હતો. જેમાં સરકાર-વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. જેમાં કોંગ્રેસ વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ રાજ્યના ડે. સીએમ અને ભાજપ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીનુ નિવેદન
અમારા પાંચ ધારાસભ્યોની જિંદગી પુરી કરી નાખી
CM નિવાસસ્થાને રાજીનામાનું નાટક રચાયું
કોંગ્રેસ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આરોપ મુકતાં કહ્યું કે ભાજપે અમારા પાંચ ધારાસભ્યોની રાજકીય જિંદગી પુરી કરી નાંખી. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંનું નાટક મુખ્યમંત્રી નિવાસસ્થાને રચાયું હતું.
જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીના ઘરે 65 કરોડમાં સોદો થયો હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો હતો. જો કે તેને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને લઇને નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીની લડાઇમાં રાજીનામાં પડ્યાં છે.
જો કે એક સમયે કોંગ્રેસ તરફથી ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે તમે ભાજપના 15 ધારાસભ્ય લઇને આવો તો મુખ્યમંત્રી બનાવી દઇશું. જો કે આજરોજ ડે. સીએમ નીતિન પટેલે ગૃહમાં આજે વળતો પ્રહાર કરતાં કહ્યું કે પહેલા મને કહેતા હતા કે 15 સભ્ય લઇને આવો, હવે તમારા પગ નીચે રેલો આવ્યો છે.
આ અગાઉ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને લઇને નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો પક્ષથી નારાજ છે, કોંગ્રેસની આંતરિક જૂથબંધી સામે આવી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવવા ઉત્સાહી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગેની જાણકારી વિધાનસભા અધ્યક્ષ વિધાનસભામાં માહીતી આપશે.