માનવતા મરી પરવારી : યુપીના કન્નૌજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પિતા પોતાના કાળજાના કટકાને મૃત હાલતમાં લઈને રુદન કરી રહ્યો છે. આરોપ છે કે બાળકને તાવ હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવ્યો જે બાદ બાળક જિંદગીની જંગ હારી ગયો.
બાળકને સખત તાવ હોવા છતાં દાખલ ન કર્યા આરોપ
માતાપિતાનું હૃદય ચીરી નાખે તેવું રુદન
યુપીના નેતાઓએ દોષિતોને કડક સજા આપવાની માગ કરી છે.
ઉત્તર પ્રદેશની સરકારી વ્યવસ્થાઓ પથ્થરદિલની થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે યુપીની તુલના સુપરપાવરથી કરી છે ત્યાંની આ તસવીર સત્તાધારીઓએ જોવી જોઈએ. ઘટના છે કે યુપીના કન્નૌજની જ્યાં માતા પિતા પોતાના એક વર્ષના બાળકને લઈને પહોંચ્યા.
ઉત્તરપ્રદેશના કન્નૌજનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પિતા પોતાના વ્હાલસોયાને હૃદયથી લગાડીને રડી રહ્યો છે. આરોપ છે કે બાળકને સખત તાવ હતો છતાં તબીબોએ સારવાર ન આપી. આ ચિચિયારીઓ હૃદય ચીરી નાખશે #UttarPradesh#Kannaujpic.twitter.com/F56Y2yIF0x
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2020
જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યા તો બાળકનું શરીર તાવનાં કારણે ધગધગી રહ્યું હતું. મીડિયાના અહેવાલ મુજબ માતા-પિતા તબીબો સામે બાળકની સારવાર માટે કાકલુદી કરતા રહ્યા પણ કોઈએ એક નાં સાંભળી. માતા-પિતાએ કહ્યું કે તબીબોએ બાળકને અડવાની પણ નાં પાડી દીધી અને કહેવા લાગ્યા કે તેને કાનપુર લઇ જાઓ જે 90 કિમી દૂર છે. તબીબોએ કહ્યું કે ત્યાં મોટા હોસ્પિટલ છે પણ થોડા સમય બાદ બાળક જિંદગીની જંગ હારી ગયું...
રવિવારે સાંજે લગભગ પાંચ વાગે પિતા પોતાના વ્હાલસોયા બાળકને હૃદયથી લગાવી રડતો રહ્યો. બાળકની માતાની ચિચિયારીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સુહેલ્દેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અરુણ રાજભરે આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, યુપીમાં સ્વાસ્થ્ય સેવાઓમાં સંવેદના અને માનવતા જાણે ખતમ જ થઇ ગઈ છે. સારવાર ન મળતા બાળકે જીવ ગુમાવ્યો પડ્યો. અત્યંત દુખદ. ગંભીર હાલતમાં પણ તબીબો પર દાખલ ન કરવાનો આરોપ છે. દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે.
મૃતક બાળકના પિતા પ્રેમચંદે કહ્યું કે જયારે મીડિયાવાળા આવ્યા ત્યારે બાળકને દાખલ કરવામાં આવ્યો પરંતુ તેની મોત થઇ ગઈ હતી. જોકે હોસ્પિટલનું કહેવું છે કે બાળકને તરત જ સારવાર આપવામાં આવી હતી. તે ગંભીર હાલતમાં લાવવામાં આવ્યો હતો, પ્રયત્ન છતાં તેની મોત થઈ ગઈ છે. જેમાં કોઈની લાપરવાહી નથી.