ભાવનગર: જિલ્લાની બગડ નદીમાં એકઠું થતું વરસાદી પાણીને રોકવા ઉંચા કોટડાના દરિયા વચ્ચે એક બંધારો બાંધવાની યોજના રાજ્યસરકાર છેલ્લા 35 વર્ષથી ટલ્લે ચઢાવી રહી છે. ત્યારે તળાજા અને મહુવા સહિતના 15 ગામના ખેડૂતો અને ગ્રામજનોએ ભેગા મળી બંધારો બાંધવાની શરૂઆત કરી નાંખી છે અને મહદઅંશે આ બંધારો તૈયાર પણ થઈ ચુક્યો છે. દરિયાકીનારે 1 કિલોમીટર લાંબો બંધારો તૈયાર કરવા ગ્રામજનોને સ્થાનિકો અને દાતાઓ દ્વારા ભંડોળ મળી રહ્યું છે તો બહેનો અને નાના ભુલકાઓ પણ સાહસિક કાર્યમાં પોતાનું યોગદાન હર્ષો ઉલ્લાસથી આપી રહ્યા છે.
હવે બંધારાના ફાયદા પર એક નજર કરીએ તો 35 થી 40 ગામના લોકોને આ બંધારા થકી મીઠુ પાણી મળશે. 10 થી 11 ગામને આ બંધારાનો સીધો ફાયદો થશે. અન્ય લોકોને આડકતરી રીતે ફાયદો થશે. તો ખેડૂતોને પણ આ બંધારાનો મોટો ફાયદો થશે. એક મોટા ડેમ જેટલા પાણીનો સંગ્રહ આ બંધારામાં થશે. આ બંધારામાં 655 MCFT પાણીનો સંગ્રહ થશે. 1575 હેક્ટરમાં પાણીનો થશે સંગ્રહ. તો મીઠા પાણીના પરબની પણ સ્થાનિકો હાલ આશા સેવી રહ્યા છે. જેના માટે સ્થાનિકોએ 35થી 40 લાખનો ખર્ચ પણ કરી નાંખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર જીલ્લામાં ઓછા વરસાદને કારણે સમયાંતરે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થતી હતી. તેથી સ્થાનિકો છેલ્લા 35 વર્ષથી રાજ્યસરકારને રજૂઆત કરતા હતા. જોકે છેલ્લા 35 વર્ષથી જેટલી સરકાર રાજ્યમાં આવી તે તમામ સરકારોએ બંધારાને લઈ આંખ આડા કાન કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે દરિયાની ખારાપણું તો દૂર ન કરી શકાય પરંતુ સરકારના મનની ખારાશ દૂર કરવાની કોશિશ ચોક્કસ કરી શકાય. આવું જ કાંઈક કરી બતાવ્યું છે 25 વર્ષથી સરકારના ભરોસે બેઠેલા ભાવનગરના મેથળા અને ઉંચા કોટડાના ધરતીપુત્રોએ. 25 વર્ષ સુધી રાહ જોઈ પછી જાતેજ ઓજાર ઉઠાવી નિકળી પડયા. સતત 40 દિવસ 4 JCB 10 ટ્રેક્ટર અને હજારો હાથોએ તંતોડ મહેનત કરી અને 1 કિલોમીટરથી પણ વધુ લાંબો બંધારો તૈયાર કરી નાખ્યો.
જે હવે હજારો એકર જમીનમાં ખારાસને તો રોકશે જ પરંતુ સાથે-સાથે હજારો એકર જમીનને મીઠું પાણી પણ પુરુ પાડશે. અહીં સરકારની ઢીલી નીતિથી ચોંકી ન જશો. કારણ કે બગડ નદી પર બંધારા માટે વર્ષો પહેલા સરકારે 80 કરોડનું બજેટ ફાળવ્યું હતું. પરંતુ આ બજેટ માત્ર કાગળ પર જ છે અને 80 કરોડ પણ કાગળમાં જ રહ્યા. પરંતુ ભાવનગરના ખેડૂતોએ કરી બતાવ્યું કે સરકાર ભલે ખારાશને રોકી ન શકે પરંતુ હજૂ આ ધરતીપુત્રોના કાંડામાં બળ છે જ અને તેને કોઈની પણ લાચારી સહન કરવાની જરૂર નથી.
કરોડોમાં કાગળ પર રમતા પ્રોજેક્ટને ખેડૂતોએ પોતાના હાથમાં લીધો અને જાત મહેનતે 80 કરોડના પ્રોજેક્ટને માત્ર 40 લાખમાં જ તૈયાર કરી નાખ્યો. માતાઓ બહેનો દિકરીઓ બાળકો પુરુષો અને વૃદ્ધોની તંતોડ મહેનતથી તૈયાર થયેલ આ બંધોરો હવે 1575 હેક્ટર જમીનને ખારા પટમાંથી મીઠી ધરા બનાવશે તો આ બંધારામાં 655 MCFC જેટલા પાણીનો સંગ્રહ થઈ શકશે.
સૌથી મહત્વની બાબત તો એ છે કે આ બંધારાથી માત્ર આ બે ગામને જ નહીં પરંતુ આજુબાજુના 11 ગામડાઓને ફાયદો થશે. આ સાથે જ હજારો એકર જમીન ખારાશથી બચશે અને વર્ષોથી બિનઉપજાવ બનેલી ધરામાં સોનાનો સુરજ ઉગશે. પરંતુ અહીં ગુજરાતની જનતાને મેથળા અને ઉંચા કોટડાના લોકોએ સંદેશ આપી દીધો છે કે જો સરકારના ભરોસે રહ્યા તો તમારા ઘર સુધી ખારાશ પહોંચી જશે અને ઘરમાં એક ટાઈમનું ભોજન બનાવવા અન્નો એક દાણો પણ નહીં બચે?
હાલ તો ખેડૂતો વૃદ્ધો મહિલાઓ તથા બાળકોએ રાજ્યનું શાસન કરતી સરકારને પોતાની કાર્યક્ષમતાનો ઉત્તમ પરિચય પોતાના પરિશ્રમ થકી આપ્યો છે. જેને સરકારની નીતિ અને કાર્યક્ષમતાઓ સામે સવાલોની વણઝાર ઉભી કરી નાંખી છે.