પંચમહાલ જીલ્લામાં આવેલા એકમાત્ર અભ્યારણ જાંબુઘોડાના જંગલ વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં એક સાથે ૩૦૦ ઉપરાંત વાંસના ઝુંડ સુકાઈ જતા આશ્ચર્ય વ્યાપ્યું છે. વનવિભાગે ઉછેરેલા વાંસ સુકાઈ ગયા.
જાંબુઘોડા જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી
300 જેટલા વાંસનું ઝુંડ સુકાયા
શા માટે સુંકાઇ ગયા વાસ ?
પંચમહાલ જીલ્લામાં આવેલ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાંબુઘોડાના જંગલ વિસ્તારમાં હાલ ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે સૌના આશ્ચર્યની વચ્ચે આ અભ્યારણ વિસ્તારમાં આવેલા સાદડા જંગલ બીટ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવેલા વાંસના ૩૦૦ ઉપરાંત ઝુંડ (વાંસના ઝાડનો જથ્થો) સુકાઈ જવા પામ્યા છે.
વાંસનું આ વન સંપૂર્ણપણે હાલ સુકાઈ જવા પામ્યું છે. જાંબુઘોડા અભ્યારણમાં અનેક વાંસના વન આવેલા છે જેમાં નારૂકોટ, કેવા અને સાદડા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાંસવન આવેલા છે. વાંસની ૮ પ્રજાતિ પૈકીની સામાન્ય ગણવામાં આવતી પ્રજાતિ હાલ આ વન વિસ્તારમાં આવેલી છે. જોકે અભ્યારણ વિસ્તારની બહારના વિસ્તારમાં પણ અનેક વાંસવન આવેલા છે જે વાંસનો ઉપયોગ કરી પરંપરાગત ટોપલા, સુપડા ,ટોપલીઓ, મોષ્ટિ જેવી અનેક ચીજ વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બન્યા છે. જાંબુઘોડા અભ્યારણ વિસ્તારમાં એક સાથે હજારોની સંખ્યામાં વાંસ સુકાઈ જવાની આ પ્રથમ ઘટના છે. ત્યારે વાંસ સુકાઈ જવાની ઘટનાને વન વિભાગ દ્વારા સામાન્ય પ્રાકૃતિક પ્રક્રિયા જ ગણાવી છે. જાંબુઘોડા અભ્યારણમાં ઉછેરવામાં આવેલી વાંસની આ સામાન્ય પ્રજાતિ ૩૫ થી ૪૦ વર્ષની તેની ઉંમર થયા પછી તે બીજ આપે છે અને બીજ આપવાની સાથે સાથે તે સુકાઈ જાય છે.
જાંબુઘોડા અભયારણ્યના RFO એચ ડી રાઉલજી જણાવ્યું હતુ કે, વાંસને બીજ આવ્યા પછી વાંસ સુકાઈ જાય છે. વાંસની જાતો અલગ અલગ છે. સામાન્યની ઉમંર 30થી 35 વર્ષ હોય છે જ્યારે કાથા વાંસ 70થી 80 વર્ષનું આયુષ્ય છે. બામ્બુની જાત ગુજરાતમાં નથી તેનુ આયુષ્ય 90 વર્ષ હોય છે. બિયારણ આવ્યું છે. કુદરતી બી નીચે પડવાથી લાખોની સંખ્યામાં બીજા વાંસ તૈયાર થશે.
જાંબુઘોડાના આરક્ષિત વન વિસ્તારમાં એક સાથે હજારોની સંખ્યામાં વાંસ સુકાઈ જવાની આ ઘટનાને લઈને સ્થાનિકો સહીત પ્રકૃતિ પ્રેમીઓમાં આશ્ચર્ય સર્જ્યું હતું પરંતુ વન વિભાગના મતે આ સર્વ સામાન્ય બાબત છે. હાલ આરક્ષિત વન વિસ્તારમાં આવેલા જે વાંસ સુકાઈ જવા પામ્યા છે તે વાંસને સરકારના અભ્યારણ અંગેના નિયમો મુજબ હવે તે જ સ્થિતિમાં રાખવામાં આવનાર છે, જેથી આ સુકાઈ ગયેલા વાંસના લાકડા આ અભ્યારણ વિસ્તારમાં વસવાટ કરતા અન્ય પક્ષી તેમજ પ્રાણીઓ તેનો આહાર તરીકે ઉપયોગ કરી શકે.