જો તમે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કર્યું ન હોય તો હવે ગભરાવાની જરૂર નથી. આધારકાર્ડ સાથે લિંક નહીં કરવાથી તમારું પાનકાર્ડ ઇનઓપરેટિવ નહીં થાય. ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જ્યાં સુધી આ કેસમાં સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ આપશે નહીં ત્યાં સુધી આધાર સાથે લિંક નહીં થયેલાં પાનકાર્ડને રદબાતલ ઠરાવી શકાશે નહીં. આ અંગે ગુજરાત હાઇકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું છે કે, જો પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં થાય તો તેને રદ કરવામાં આવશે નહીં.
પાન અને આધાર લિંક ન હોવા પર નહીં થાય રદ
ગુજરાત હાઇકોર્ટે કરદાતાઓને આપી રાહત
આધારને પાન સાથે લિંક કરવાની ડેડલાઇન ગેરકાયદે છે
હાઇકોર્ટે કહ્યું છે કે, આધાર એક્ટની માન્યતા અંગે હાલ સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ અંગે અંતિમ નિર્ણય નહીં લે ત્યાં સુધી આવકવેરા વિભાગ તેને લિંક કરવાનો આદેશ આપી શકશે નહીં. હાઈકોર્ટે પોતાના આદેશમાં વધુમાં કહ્યું છે કે, આવકવેરા વિભાગ દ્વારા પાન-આધારની ડેડલાઈનને વારંવાર આગળ વધારવી પણ ગેરકાયદેસર છે.
ઇન્કમટેક્સ વિભાગને આધાર નંબર જણાવવાનો હોય છે
ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 139AA હેઠળ જે લોકોને પાનકાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે અને જેઓ આધાર મેળવવા માટે પાત્ર છે તેમને ઇન્કમટેક્સ વિભાગને પોતાનો આધાર નંબર જણાવવાનો હોય છે, પરંતુ જો આવું કરવામાં નહીં આવે તો તેનાથી પાન નંબર ઇનઓપરેટિવ થશે નહીં.
ગુજરાત હાઇકોર્ટે કરદાતાઓને રાહત આપી છે
ટેક્સમેન ડોટકોમના ડીજીએમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવીન વાધવા જણાવે છે કે, આધાર અધિનિયમની કાયદેસરતા સામે ઊભા થયેલા સવાલને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે કરદાતાઓને રાહત આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આધારની કાયદેસરતાનો મામલો સુપ્રીમ કોર્ટમાં અનિર્ણીત છે ત્યાં સુધી આધાર સાથે લિંક નહીં થયેલ પાનકાર્ડને ઇનઓપરેટિવ ગણાવી શકાશે નહીં. આમ, આધારને પાન સાથે લિંક કરવાની ડેડલાઇન ગેરકાયદે છે.