બનાસકાંઠામાં ઉમરદસી નદી પર પુલની સેફટી વોલ બનતી વખતે મિક્સર મશીન ગબડી પડતા ચાર મજૂરો ખાડામાં દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં બે ને બચાવી લેવાયા હતા જ્યારે બે મજૂરોના ઘટના સ્થળે મોત મીપજ્યા હતા.
પાલનપુર અંબાજી રોડ પર આવેલી ઉમરદસી નદી પરના પુલની સેફટીવોલ નું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમ્યાન અચાનક ભેખડ ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.
જેમાં નીચે કામ કરી રહેલા મજૂરો પર પુલ પરથી મિક્સર મશીન પડતા ચાર મજૂરો દટાતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનાથી આજુબાજુના મજૂરો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બે મજૂરોને બચાવી લેવાયા હતા જ્યારે બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત નિપજ્યા હતા.
આ બનાવની જાણ થતાં પાલનપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ક્રેનની મદદથી બિહારના રોહિત જાદવ અને પપ્પુ જાદવ નામના બે મજૂરોની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બિહારથી મજૂરી અર્થે આવેલા બે યુવકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. જ્યારે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઘટના સર્જાઈ હોવાનું લોકોનું માનવું છે.
કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો વગર અહીં ચાલતા કામકાજ દરમ્યાન બનેલા અકસ્માતમાં બે મજૂરોના કરુંણમોત થયા છે ત્યારે આ મામલે પોલિસ દ્વારા કડક તાપસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.