પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું, મારે સુષ્મા સ્વરાજને હાલ માટે કંઈ ન કરવા અને સમગ્ર વિવાદને ઉકેલવા માટે અમેરિકાને થોડો સમય આપવા માટે સમજાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનો પાકિસ્તાનને સૌથી મોટો દાવો
સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું: માઈક પોમ્પિયો
Never Give an Inch: Fighting for the America I Love પુસ્તકમાં કર્યો મોટો ખુલાસો
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને લઈને સૌથી મોટો દાવો કર્યો છે. માઈક પોમ્પિયોએ તેમના એક પુસ્તકમાં દાવો કર્યો છે કે, વર્ષ 2019માં ભારત દ્વારા બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. માઈક પોમ્પિયોએ તેમના પુસ્તક 'Never Give an Inch: Fighting for the America I Love' માં જણાવ્યું કે, પરમાણુ હુમલાની આ માહિતી તેમને ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આપી હતી.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, વર્ષ 2019માં જ્યારે 27-28 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની ત્યારે તે વિયેતનામના હનોઈમાં હતા. આ પછી તેમની ટીમે આ અંગે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ સાથે વાત કરી હતી. પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, મને નથી લાગતું કે દુનિયા બરાબર જાણે છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ ફેબ્રુઆરી 2019માં પરમાણુ વિસ્ફોટની કેટલી નજીક આવી ગયું હતું. સત્ય એ છે કે, મને પણ ચોક્કસ જવાબ ખબર નથી.
પોમ્પિયોએ પુસ્તકમાં શું ઉલ્લેખ કર્યો ?
પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીએ પુસ્તકમાં લખ્યું છે કે, પાકિસ્તાનની ઢીલી આતંકવાદ વિરોધી નીતિઓને કારણે 40 ભારતીય સૈનિકો શહીદ થયા. જેના જવાબમાં ભારતે હવાઈ હુમલો કરીને પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. બાદમાં પાકિસ્તાને હવાઈ લડાઈમાં એક વિમાન તોડી પાડ્યું અને ભારતીય પાયલટને પકડી લીધો.
પાકિસ્તાને શું કર્યું હતું ?
પોમ્પિયોએ લખ્યું કે, તેમના ભારતીય સમકક્ષ સુષ્મા સ્વરાજે તેમને કહ્યું કે, પાકિસ્તાને હુમલા માટે તેના પરમાણુ હથિયારો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સુષ્મા સ્વરાજે મને કહ્યું કે, ભારત પણ આ માટે તૈયારી કરી રહ્યું છે. પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, મારે સુષ્મા સ્વરાજને હાલ માટે કંઈ ન કરવા અને સમગ્ર વિવાદને ઉકેલવા માટે અમેરિકાને થોડો સમય આપવા માટે સમજાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલે શું કહ્યું હતું ?
પૂર્વ વિદેશ મંત્રીએ આગળ લખ્યું, આ પછી તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાત કરી અને તેના વિશે પૂછ્યું.જોકે બાજવાએ કહ્યું કે, આ સાચું નથી. જણાવી દઈએ કે, માઈક પોમ્પિયોના આ દાવા અંગે વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ફેબ્રુઆરી-2019માં થયો હતો પુલવામા હુમલો
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કરી દીધો હતો.