પાકિસ્તાન આર્મીનું જીવવું હરામ કરી દેનાર બલૂચ વિદ્રોહીઓએ આર્મી બેઝ પર ભીષણ હુમલો કરીને 100 સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો.
બલૂચિસ્તાનમાં 100 પાક. સૈનિકોનાં મૃત્યુ
પાક. સેનાએ કહ્યું માત્ર એક જ સૈનિક મર્યો
ઈમરાન ખાને કર્યા સેનાના વખાણ
પાકિસ્તાન આર્મી માટે કાળ સમાન બની ગયેલા બલૂચ વિદ્રોહીઓએ બલૂચિસ્તાન પ્રાંતના પંજગુર અને નુશ્કી વિસ્તારોમાં ફ્રન્ટિયર કોર્પ્સ અને આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો હતો. બલૂચ વિદ્રોહીઓનો દાવો છે કે આ હુમલામાં 100 પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા છે.
બીજી તરફ પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે બલૂચ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ માત્ર 1 સૈનિકના મોતની પુષ્ટિ કરી છે. અગાઉ, બલૂચ વિદ્રોહીઓએ 10 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા અને 30 કલાક પછી જનરલ બાજવાએ તે સ્વીકાર્યું પણ હતું.
પાકિસ્તાન સેનાનો વિપરીત રાગ
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહે કરીને કહ્યું હતું કે બંને જગ્યાએ બલૂચ વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આ જવાબી કાર્યવાહીમાં બળવાખોરોને ભારે નુકસાન થયું છે.
તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ પંજગુર વિસ્તારમાં સુરક્ષા દળોના કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે સમયસર જવાબી કાર્યવાહીમાં હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો.
હુમલામાં પાકિસ્તાન આર્મી કેમ્પનો નાશ
પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે ક્રોસ ફાયરમાં 1 સૈનિકનું મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષો વચ્ચેના આ વિસ્તારમાં ગોળીબાર ચાલુ છે. ફ્રન્ટિયર કોર્પ્સે પણ સ્વીકાર્યું છે કે તેના કેમ્પની નજીક બે વિસ્ફોટ થયા છે અને ફાયરિંગ ચાલુ છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. BLA એ દાવો કર્યો છે કે હુમલામાં 100 પાકિસ્તાની સૈનિકો પણ મર્યા છે. તેણે કહ્યું કે તેના ભયાનક હુમલામાં પાકિસ્તાની સેના કેમ્પ લગભગ નષ્ટ થઈ ગયો હતો.
ઈન્ટરનેટ અને ફોન બંધ કરી દેવામાં આવ્યા
BLA એ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ મીડિયાને હુમલા અંગેના સમાચાર પ્રસારિત કરવાથી રોકી હતી. આ વિસ્તારમાં ઈન્ટરનેટ અને ફોન બંધ કરી દેવામાં આવ્યા છે. BLAએ એમ પણ કહ્યું કે પાકિસ્તાની સેનાનો હુમલો નિષ્ફળ કરવાનો દાવો પણ ખોટો છે. તેમણે કહ્યું હતું કે અમારું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
તો સામે આ દરમિયાન, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને હુમલાને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાની સુરક્ષા દળોની પ્રશંસા કરી છે. ઈમરાન ખાને કહ્યું હતું કે આખો દેશ પાકિસ્તાન આર્મી સાથે ઉભો છે.