પાકિસ્તાન આમ તો સમગ્ર વિશ્વમાં પોતાને નિર્દોષ ગણાવી રહ્યું છે ત્યારે તેજ દેશના અખબારો દેશમાં આતંકીઓની નવી પેઢી તૈયાર થઇ રહી હોવાનો દાવો કરી રહ્યાં છે.
પાકિસ્તાનના એક અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલ'ના તંત્રી લેખમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો કટ્ટરપંથી અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગઠનો વિરુદ્ધ કૂણું વલણ દાખવવાનો દ્રષ્ટિકોણ બદલવામાં નહીં આવે તો પાકિસ્તાન આતંકવાદના નવા સ્વરૃપને જન્મ આપી શકે છે.
અખબારમાં ભારતને ઉદ્દેશથી જે સૌથી મહત્ત્વપૂર્ણ વાત જણાવવામાં આવી છે તે એ છે કે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે રહે છે. ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી અયમન અલ ઝવાહિરી પણ ત્યાં જ છે.
તંત્રી લેખમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકીઓ અંગેની તાજેતરની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ૧૩૯ એવા આતંકીઓ છે જે પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. અખબારે જણાવ્યું છે કે કટ્ટરવાદ અંગે બેવડું વલણ એક પ્રકારની સહાનુભૂતિ દર્શાવે છે. જેના કારણે નવા પ્રકારના આતંકના ઉદ્ભવ માટેની જમીન તૈયાર થાય છે.
એ વાત કમનસીબ છે કે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને સમસ્યાઓને જન્મ આપનારા દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકી સંગઠન સતત ભરતી કરી રહ્યાં છે. એટલે કે પાકિસ્તાનમાં આતંકીઓની નવી પેઢી તૈયાર થઇ રહી છે. જો કે જે લોકોની ભરતી કરવામાં આવી રહી છે તેમના નામ વૈશ્વિક યાદીમાં સામેલ નથી પણ ભવિષ્યમાં આ લોકો પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
સુરક્ષા પરિષદની તાજેતરની યાદી અંગે આ અખબારે જણાવ્યું છે કે જ્યાં સુધી આતંકીઓ વિરોધ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની યાદીઓમાં નામ આવતા રહેશે.