રાજ્યસભાએ નાગરિકતા સુધારા વિધેયક-ર૦૧૯ પર મંજૂરીની મહોર મારતાં જ હવે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે આ વિધેયક કાયદો બની જશે. આ સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી સમુદાયના શરણાર્થીઓ માટે ભારતની નાગરિકતા હાંસલ કરવા માટે માર્ગ મોકળો થઇ જશે.
રાજ્યસભાએ નાગરિકતા સુધારા વિધેયક-ર૦૧૯ પર મંજૂરીની મહોર મારતાં જ હવે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે આ વિધેયક કાયદો બની જશે
એક પાકિસ્તાની હિંદુ શરણાર્થી મહિલાએ પોતાની બે દિવસની નવજાત બાળકીનું નામ નાગરિકતા રાખ્યું
પાકિસ્તાની હિંદુ શરણાર્થી મહિલાએ પોતાની બે દિવસની નવજાત બાળકીનું નામ નાગરિકતા રાખ્યું
આ વિધેયક પાસ થવાની સાથે જ ખાસ કરીને પાકિસ્તાની હિંદુઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આ વિધેયક પાસ થવાની ખુશીમાં મજનુકા ટીલા પાસે રહેતી એક પાકિસ્તાની હિંદુ શરણાર્થી મહિલાએ પોતાની બે દિવસની નવજાત બાળકીનું નામ નાગરિકતા રાખ્યું છે.
આરતી નામની આ મહિલાએ પોતાની નવજાત બાળકીનું નામ નાગરિકતા એટલા માટે રાખ્યું છે, કારણ કે આ બાળકીનો જન્મ થવાની સાથે જ આ વિધેયક પાસ થયું હતું અને તેને આશાનું કિરણ નજરે પડયું છે કે વર્ષોથી જે ઓળખ માટે તેઓ લડી રહ્યા હતા તેમને હવે આ ઓળખ પ્રાપ્ત થશે.
રાજ્યસભામાં નાગરિકતા સુધારા વિધેયક-ર૦૧૯ પસાર થવાની સાથે જ દિલ્હીના મજનુકા ટીલા વિસ્તારમાં વર્ષોથી રહેતા પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓની વસાહતમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. તેમણે ફટાકડા ફોડીને તેમજ સીટીઓ વગાડીને આ વિધેયકનું સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને જયહિંદના નારાથી ગૂંજી ઊઠયું હતું. આબાલ વૃદ્ધે એકબીજાને અભિનંદન પાઠવ્યાં હતાં અને મોં મીઠાં કરાવ્યાં હતાં.