પુણેમાં કલેક્ટર ઓફિસની બહાર કથિત રીતે PFIના કાર્યકરોએ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નાર લગાવ્યા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ચેતવ્યા
PFIના કાર્યકરોએ કથિત રીતે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા
મહારાષ્ટ્ર CM શિંદેએ કહ્યું, શિવાજીની ભૂમિ પર આવા નારા સાંખી લેવામાં નહીં આવે
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, રાષ્ટ્ર વિરોધી નારા લગાવનારાને બક્ષવામાં નહીં આવે
ગુરુવારે દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પરિસરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન NIAએ 100થી વધુ લોકોની અટકાયત કરી હતી. PFIના સમર્થકોએ પણ આ કાર્યવાહી સામે શુક્રવારે વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ક્રમમાં પીએફઆઈના કાર્યકરોએ પુણેમાં કલેક્ટર ઓફિસની બહાર પ્રદર્શન પણ કર્યું હતું. પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી. આ દરમ્યાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. કથિત રીતે અહીં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસ પ્રશાસને આ વાતને નકારી કાઢી હતી.
આ દરમ્યાન હવે અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, પૂણેમાં જે પ્રકારના રાષ્ટ્ર વિરોધી 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવવામાં આવી રહ્યા છે તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. આની સામે પોલીસ ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરશે, પરંતુ શિવાજીની ભૂમિ પર આવા નારાઓ સાંખી લેવામાં આવશે નહીં.
पुण्यात ज्या समाजकंटकांनी पाकिस्तान झिंदाबादचे नारे दिले त्या प्रवृत्तीचा करावा तेवढा निषेध कमीच आहे. पोलीस यंत्रणा त्यांच्याविरोधात योग्य ती कारवाई करेलच, पण शिवरायांच्या भूमीत असले नारे अजिबात सहन केले जाणार नाहीत.
આ સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જે કોઈ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગપુરમાં બોલતા ફડણવીસે કહ્યું, "જો કોઈ મહારાષ્ટ્ર અથવા ભારતમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવે છે, તો તે વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેઓ જ્યાં પણ હશે, અમે તેમને શોધી કાઢીશું અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું.
આ તરફ પીએફઆઈ પર દરોડાની કાર્યવાહી સંબંધિત અધિકારીઓએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, પીએફઆઈના સભ્યો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે જે લોકોને ટેરર ફંડિંગ, ટ્રેનિંગ કેમ્પ અને સંગઠનમાં જોડાવા માટે ઉશ્કેરી રહ્યા છે. બિહારના ફુલવારી શરીફમાં ગઝવા-એ-હિંદની સ્થાપના માટે PFI દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. જ્યાં તાજેતરમાં NIAએ દરોડા પાડ્યા હતા. PFI તેલંગાણાના નિઝામાબાદમાં કરાટે ટ્રેનિંગના નામે હથિયારોની ટ્રેનિંગ પણ આપતું હતું.