ભારતે કરતારપુર જવા વાળા 550 લોકોના પહેલી ટીમમાં સામેલ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ માટે પાકિસ્તાન પાસેથી ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા માંગી છે. જ્યારે પાકિસ્તાને એ માટે માત્ર બેટરીથી સંચાલિત ખુલ્લી કારનું આયોજન કર્યું છે. એવામાં પૂર્વ વડાપ્રધાનની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉભા થયા છે. જાસૂસી એજન્સીઓએ પહેલાથી જ કરતારપુરમાં આતંકી હુમલાના ઇનપુટ આપી ચૂક્યા છે.
ભારતે પૂર્વ PM ડૉ. મનમોહન સિંહ માટે પાકિસ્તાન પાસેથી ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા માંગી
પાકિસ્તાને માત્ર બેટરીથી સંચાલિત ખુલ્લી કારનું આયોજન કર્યું
જાસૂસી એજન્સીઓએ કરતારપુરમાં આતંકી હુમલાના ઇનપુટ આપ્યા છે
નોંધનીય છે કે, શીખોના પહેલા ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી પર 9 નવેમ્બરે પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા સુધી જવા માટે બનાવાયેલ કોરિડોરનું ઉદઘાટન થવાનું છે. ભારતથી ત્યાં જવા વાળા 550 શ્રદ્ધાળુઓની પહેલી ટીમ પણ તૈયાર છે. આ ટીમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહથી લઇને પજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સુધી સામેલ છે. આ ટીમ ગુરુદ્વારા સુધી લગભગ 4 કિલોમીટર પાકિસ્તાનની અંદર જશે.
બીજી તરફ, ભારત તરફથી વીઆઇપી ટીમ માટે આંતકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ પાકિસ્તાન પાસે કડક સુરક્ષા બંદોબસ્તની માંગ કરાઇ છે. સાથે જ ઇન્ટેલિઝન્સ ઇનપુટની જાણકારી શેયર કરવામાં આવી છે.
પાક. પૂર્વ વડાપ્રધાન માટે કરી આ તૈયારી
પાકિસ્તાને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે બેટરીથી ચાલતી અને ચારેય તરફથી ખુલ્લી કારનું આયોજન કર્યું છે. જોકે, આ પૂર્વ પીએમને ભારત દ્વારા અપાતી ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષાના બરાબર નથી. એવામાં ભારતે પાકિસ્તાનને વધુ સુરક્ષા બંદોબસ્ત માટે કહ્યું છે. સાથે જ ભારતની ટીમમાં સામેલ લોકોની સુરક્ષા માટે વિશેષ સુરક્ષાનું આયોજન કરવા પણ કહ્યું છે.
આટલુ જ નહીં, ભારતે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે પોતાની એક ટીમને પાકિસ્તાનમાં દાખલ થવા દેવાની મંજુરી માંગી છે. જોકે, પાકિસ્તાને તેનો કોઇ જવાબ આપ્યો નથી.