જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે. તે આ મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાનો નિર્ણય લીધો છે.
UNSC માં પાકિસ્તાનને ન મળી સફળતા
પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે હવે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવશે. આ પહેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનને ત્યાં ધારી સફળતા પ્રાપ્ત થઇ શકી નહીં અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના લગભગ તમામ દેશોએ(ચીનને છોડી) તેને ખાલી હાથ પરત મોકલ્યું.
Pakistani government has decided to approach the International Court of Justice over Kashmir issue: Pakistan media pic.twitter.com/SAnOeeSCwe
ઉલ્લેખનીય છે કે, જ્યારથી મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો છે, ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં જોતરાયું છે, પરંતુ તેને દરેક જગ્યાએથી હાર પ્રાપ્ત થઈ છે. યુએન સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફક્ત ચીનનો ટેકો મળ્યો હતો. ભારતની મુત્સદ્દીગીરીએ ચીનના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવી દીધા હતા.
ભારત રાજદૂતે પાકિસ્તાનને લીધું આડેહાથ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત સઇદ અકબરુદ્દીને યુએનએસસીમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જેહાદના નામે ભારતમાં હિંસા ફેલાવી રહ્યું છે. અમે હંમેશાની જેમ અમારી નીતિ સાથે અડગ રહ્યા છીએ. કલમ 370 ને દૂર કરવું એ ભારતની આંતરિક બાબત છે. કાશ્મીર અંગે લીધેલા નિર્ણયથી બહારના લોકોને કોઈ લેવાદેવા નથી.
માનવાધિકાર ઉલ્લંઘનના ભારત પર લગાવાયા આરોપ
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ એક નિવેદન દ્વારા યુએન સુરક્ષા પરિષદને મદદ માટે વિનંતી કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સેના ગોઠવવા અંગે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં ભારત પર જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNCS) ને કાશ્મીરની પરિસ્થિતિ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.