વિશ્વકપ 2019માં આજે પાકિસ્તાન પોતાની અંતિમ મેચ બાંગ્લાદેશ સામે રમી રહ્યુ છે.
અંતિમ એટલા માટે, કારણ કે હવે કોઈ ચમત્કાર પણ પાક. ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી શકે તેમ નથી. આ બધા વચ્ચે પાકિસ્તાનની એક ટીવી ચેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સરફરાઝની ટીમના મોટા ભાગના ખેલાડીઓએ સ્વદેશ પાછા ફરવા માટેની ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. આવું સંભવતઃ ક્રિકેટ ચાહકોના ગુસ્સાથી બચવા અને મામલાને ઠંડો પાડવા માટે કરવામાં આવ્યું છે.
બીજી તરફ એવા પણ અહેવાલો છે કે સૌથી વધુ ટીકાનો શિકાર થયેલો સિનિયર ખેલાડી શોએબ મલિક આજે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે.
જિયો ટીવીના એક ટોક શોમાં પાકિસ્તાનના જર્નાલિસ્ટ સૈયદ યાહ્યા હુસેનીએ કહ્યું, ''હું તમને એક બિલકુલ નવી જાણકારી આપી રહ્યો છું. પાકિસ્તાનના મોટા ભાગના ખેલાડીઓએ સ્વદેશ પાછા ફરવાની ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. હવે તેઓ ભૂતકાળમાં જેમ બન્યું છે તેમ ટુકડે ટુકડે પાકિસ્તાન પાછા ફરશે.''
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એક ટોક શોમાં કહ્યું હતું કે વર્લ્ડકપમાં ભારત સામે પરાજય બાદ જ્યારે પાક. ખેલાડીઓ સ્વદેશ પાછા ફરશે ત્યારે તેમના પર ટામેટાં-ઈંડાં ફેંકવામાં આવશે.
હુસેનીએ વધુમાં જણાવ્યું, ''શોએબ મલિક પોતાની આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે. લીડ્સમાં ત્રણ નેટ્સ લગાવવામાં આવી હતી. ત્રણ દિવસથી ત્રણેય નેટ્સ પર શોએબને સૌથી વધુ તક આપવામાં આવી.'' હુસેનીની આ વાત પર ભૂતપૂર્વ ક્રિકેટર મોહંમદ યુસુફે કહ્યું, ''શોએબની ઈંગ્લેન્ડમાં સરેરાશ ૧૩ રનની છે. ઓવરઓલ ૩૩ રનની સરેરાશ છે. તેને તો બે વર્ષ પહેલાં જ ટીમમાંથી હાંકી કાઢવાની જરૂર હતી. ઇન્ઝમામ ઉલ હક વિશ્વકપની ટીમમાં આસિફ અલી અને હસનૈનને સરપ્રાઇઝ પેકેજ બતાવી રહ્યો હતો તેમને શા માટે એકેય વાર અંતિમ ઈલેવનમાં તક આપવામાં ના આવી?
ગઈ કાલે અન્ય એક પાકિસ્તાની ભૂતપૂર્વ ક્રિકેટર સિકંદર બખ્તે પણ શોએબ મલિકની આકરી ટીકા કરી હતી. બખ્તે કહ્યું, ''બાંગ્લાદેશ સામે મેચ રમાવાની છે. શું આ મજાક છે? હા, જો બાંગ્લાદેશ સામેની મેચ પહેલાં શોએબે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હોત તો તેને ટીમમાં સામેલ કરાયો હોત, પરંતુ તેણે આવું કર્યું નહીં. આથી તેના સ્થાને કોઈ અન્ય યુવા ખેલાડીને તક આપવી જોઈએ.