નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના બે અધિકારીઓની જાસૂસીના આરોપસર રવિવારે ધરપકડ કરવામાં આવી છે. જેમને સોમવાર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ આદેશ બાદ પાકિસ્તાન સંપૂર્ણ રીતે હચમચી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હવે ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસના અધિકારીને સમન્સ પાઠવ્યું છે. ભારતની આ કાર્યવાહીનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભારતના એક્શનથી હચમચી ગયુ પાકિસ્તાન
ઈસ્લામાબાદમાં દુતાવાસના અધિકારીઓને સમન્શ મોકલ્યું
પાક. અધિકારીઓ આર્મીની યાદી આઈએસઆઈને આપતા હતા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે તેઓ તેની નિંદા કરે છે. આ સિવાય પાકિસ્તાનનો આરોપ છે કે ભારત દ્વારા વિયેના સંધિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જે દ્વિપક્ષીય સંબંધોને નુકશાન પહોંચાડી શકે છે.
ઉલ્લેખનીય કે રવિવારે જાસૂસીના આરોપમાં પાકિસ્તાન હાઇ કમિશનના બે અધિકારીઓની નવી દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતે બંનેને પર્સોના-નોન ગ્રેટા જાહેર કર્યા છે. જે અંતર્ગત બંનેને સોમવાર સુધીમાં ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.
ભારત તરફથી આ મામલે પાકિસ્તાનના નાયબ રાજદૂત દ્વારા પણ વાંધાપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સુનિશ્ચિત કરવાનું રહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની રાજદ્વારી મિશનનો કોઈ પણ સભ્ય ભારત વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ન હોય અને તેની સ્થિતિથી અસંગત વર્તન કરે.
જે બે અધિકારીઓ પકડાયા છે તે બંને દિલ્હીના કેરોલ બાગથી રંગે હાથે પકડાયા હતા. આ અધિકારીઓનું નામ આબીદ હુસેન અને તાહિર હુસેન છે. જે હાઈ કમિશનના વિઝા વિભાગમાં કામ કરતા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે આ કામગીરી બાદ નિવેદન આપ્યું હતું કે ભારતીય કાયદા અમલીકરણ અધિકારીઓએ બંનેને પકડ્યા છે. એજન્સી મહિનાઓથી આ બંને અધિકારીઓ પર નજર રાખી રહી હતી. સાંભળવામાં આવી રહ્યું છે કે આ બંને આર્મી પર્સનલને નિશાનો બનાવતા હતા અને તેમની યાદી આઈએસઆઈને આપતા હતા.