પાકિસ્તાનમાં કોરોના વાયરસ કોવિડ-19નો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં અત્યાર સુધીમાં 799 કેસ પોઝિટિવ મળ્યાં છે અને 6 લોકોનાં મોત નીપજ્યાં છે. જેથી આ બધું જોતાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ જીવલેણ વાયરસ આટલું ગંભીર સ્વરૂપ લીધા બાદ પણ અહીંના લોકો સાવધાની રાખી નથી રહ્યાં અને ટોળાઓ બનાવી ગમે ત્યાં અવર-જવર કરી રહ્યાં છે. અહીંના લોકોએ સમજવું જોઈએ અને પોતાને લોકડાઉન કરવા જોઈએ.
પાકિસ્તાનમાં કોરોનાના 799 કેસ પોઝિટિવ અને 6ના થયા મોત
ભારતમાં જનતા કર્ફ્યુના શોએબે કર્યા વખાણ
શોએબે કહ્યું-ભારતથી શીખે પાકિસ્તાનના લોકો
મળતી માહિતી પ્રમાણે, શોએબે કહ્યું કે, આ મામલે આપણે ભારત પાસેથી શીખવાની જરૂર છે. ત્યાં કર્ફ્યુ લાગુ થઈ ગયો છે, લોકોએ સ્વેચ્છાથી પોતાને લોકડાઉન કરી દીધા છે. બાંગ્લાદેશ અને રવાંડા જેવા દેશોમાં પણ આ જીવલેણ બીમારીને કાબુ કરવા પગલાં લેવાઈ રહ્યાં છે. પરંતુ પાકિસ્તાનના લોકોમાં કોઈ ડર નથી. અહીં બાઇક પર ચાર લોકો બેસીને ફરી રહ્યાં છે. લોકો પર્વતો પર પિકનિક માટે જઇ રહ્યા છે.
અખ્તરે કહ્યું કે, પંજાબ (પાકિસ્તાન પ્રાંત) સરકારે અહીંની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કર્ફ્યુ લાદવો જોઈએ. અહીંની રેસ્ટોરાં રાતના 10-10 વાગ્યા સુધી ખુલી રહે છે. લોકો દાવતો માટે એક બીજાના ઘરે જતા હોય છે. અખ્તરે લોકોને સમયની નાજુકતાને સમજવા અને બે અઠવાડિયા સુધી કોઈને પણ ન મળવાની અપીલ કરી છે. જેથી વાયરસ પર કાબુ મેળવી શકાય અને વધતાં અટકાવી શકાય.
પાકિસ્તાનના આ ઝડપી બોલરે કહ્યું કે, લોકોએ સમજવું જોઈએ કે આ રોગના 90 ટકા કેસ લોકોના સંપર્કમાં આવવાથી સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, લોકોએ એકબીજા સાથે સંપર્ક ટાળવો જોઈએ અને બે અઠવાડિયા ઘરે રહેવાની ટેવ પાડવી જોઈએ.