પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં વધેલા તણાવની અસર હવે રમતના મેદાન પર સામે આવી છે. દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટર નજરે પડશે નહીં. જોકે ભારત તરફથી જાણકારી આપવામાં આવી હતી કે પાક. ખેલાડીઓને વિઝા આપી દેવામાં આવ્યા છે પરંતુ પાકિસ્તાન શૂટિંગ ફેડરેશનનું કહેવું છેકે તેમને હજુ સુધી વિઝા મળ્યા નથી અને જે અધિકારીઓને વિઝા જારી કરવાના હતા તે પાકિસ્તાનથી ભારત પહોંચી ચૂક્યા છે. અમે આની ફરિયાદ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક પરિષદમાં કરીશું.
આ વિશ્વકપમાં પાકિસ્તાનના મોહંમદ ખલીલી અખ્તર અને ગુલામ મુસ્તફા બશીરને પોતાના કોચ રજી અહેમદ સાથે 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીની કર્ણીસિંહ શૂટિંગ રેન્જમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા ભારત આવવાનું હતું. ભારતીય રાઇફલ સંઘ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશને પાકિસ્તાનના શૂટર્સ અને તેના કોચને વિઝા આપી દેવામાં આવ્યા છે.
જોકે પાકિસ્તાન શૂટિંગ ફેડરેશન તરફથી એક ઈ-મેલ મોકલીને ભારત ના આવવાની વાત કહેવામાં આવી છે. આ ઈ-મેલ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સંઘને પણ મોકલવામાં આવ્યો છે. આ ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિઝા ડિપાર્ટમેન્ટ તરફી તેમને એવી જાણકારી મળી છે કે તેમના શૂટર્સની વિઝાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને સોમવારે વિઝા આપી શકાય નહીં. અમે અમારી ટીમની ફ્લાઇટ 20 ફેબ્રુઆરીની બુક કરાવી હતી તેથી અમે ભારત પહોંચી શકીશું નહીં.
પાકિસ્તાન શૂટિંગ ફેડરેશનના અધ્યક્ષ રજી અહમદે કહ્યું ''પુલવામા ઘટના બાદ અમને વિઝા મળવા અંગે પહેલાથી જ શંકા હતી જે સાચી સાબિત થઈ છે. એ દુઃખદ છે કે અમારા શૂટર્સને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાની તક નહીં મળે. ફ્લાઇટ ટિકિટ બુક થઈ ચૂકી હતી અને દિલ્હીમાં હથિયાર લઈ જવા માટે એનઓસી પણ મળી ચૂક્યું હતું.''