પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ફરી એકવાર બાઈલેટરલ સીરિઝ રમવાની શરૂઆત કરવા અંગે કહ્યું છે. શોએબે કહ્યુ કે, જો બંને દેશ એકબીજાના ડુંગળી-બટેકા ખાઈ શકે છે, બિઝનેસ કરી શકે છે, તો પછી ક્રિકેટમાં જ વાંધો કેમ છે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે કહ્યુ કે, ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ન્યૂટ્રલ વેન્યૂ પર સીરિઝ રમી શકે છે.
શોએબ અનુસાર, ટીમ ઇન્ડિયાની કબડ્ડી ટીમ અત્યારે પાકિસ્તાનમાં છે અને તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ.
શોએબે પોતાની ઑફિશ્યલ યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, જો બંને દેશને એકબીજાને ત્યાં જઈને રમવામાં તકલીફ હોય તો તેમણે ન્યુટ્ર્લ વેન્યુ પર રમવું જોઈએ. રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા ફાસ્ટર બૉલરે કહ્યું કે, ભારતની કબડ્ડી ટીમ પાકિસ્તાનમાં છે. તેની અહીં માન સન્માન મળી રહ્યું છે. ડેવિસ કપમાં બંને દેશ એકબીજા સામે રમે છે. બંને દેશે બધી રમતો રમવાનું શરૂ કરવી જોઈએ અથવા બધી રમતો બંધ કરી દેવી જોઈએ.
ક્રિકેટમાં જ વાંધો કેમ?
બંને દેશ વચ્ચે છેલ્લી સીરિઝ 2012-13માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાન ત્રણ વનડેની સીરિઝ રમવા ભારત આવ્યું હતું. બંને દેશ વચ્ચે છેલ્લી ટેસ્ટ 13 વર્ષ પહેલા 2007માં રમાઈ હતી. જોકે બંને દેશ એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટમાં એકબીજા સામે ટકરાઈ છે. શોએબે કહ્યું કે, આપણે કબડ્ડી અને ડેવિસ કપ રમી શકીએ છીએ તો ક્રિકેટ કેમ નહીં? બાઈલેટરલ સીરિઝ ન્યુટ્ર્લ વેન્યુ પર રમવામાં આવી શકે છે. શોએબે કહ્યું કે, વિરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરને પૂછો અમે કેટલા સારા યજમાન છીએ. મતભેદના લીધે ક્રિકેટને નુકસાન ન થવું જોઈએ. હું આશા રાખું છું કે ભારત-પાકિસ્તાન જલ્દી બાઈલેટરલ સીરિઝ રમે. તેના માટે ન્યુટ્ર્લ વેન્યુ પસંદ કરવામાં આવી શકે છે.
પાકિસ્તાન એકદમ સુરક્ષિત દેશ
શોએબ અખ્તર અનુસાર, પાકિસ્તાન એકદમ સુરક્ષિત દેશ છે. તેણે કહ્યું કે, પાકિસ્તાન હવે સુરક્ષિત દેશ છે. અહીંયા કોઈપણ આવી શકે છે. ભારતની કબડ્ડી ટીમ અહિયાં આવી, તેમને માન-સન્માન મળ્યું. બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ સીરિઝ રમીને ગઈ. MCCની ટીમ અહિયાં છે અને પાકિસ્તાન સુપર લીગ પણ રમાશે. હું એટલું જ કહીશ કે, બંને દેશ ક્રિકેટ રમશે તો તેનાથી કમાણી પણ થશે.