55 ભારતીય માછીમારો અને 5 નાગરિક અમૃતસર સ્થિત ઇન્ડીયન રેડ ક્રૉસ સોસાયટી પહોંચી ગયાં છે. આ તમામને પાકિસ્તાને ગઇ કાલનાં અટારી-વાઘા સીમાનાં માધ્યમથી આઝાદ કર્યા હતાં. પાકિસ્તાને સદભાવના પ્રદર્શિત કરતા સોમવારનાં રોજ 55 ભારતીય માછીમારો અને ભારતનાં પાંચ અન્ય નાગરિકોને મુક્ત કરી દીધાં છે.
પાકિસ્તાને કહ્યું કે, આ સાથે સાથે તેઓએ તમામ ભારતીય કેદીઓને પણ આઝાદ કરી દીધાં છે. એક ન્યૂઝ ચેનલ (ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન)નાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાને જે માછીમારો અને ભારતીય નાગરિકોને આઝાદ કર્યા છે તેઓ કરાંચીની માલિર જેલમાં બંધ હતાં. ઇધી ફાઉન્ડેશનનાં અધ્યક્ષ ફૈઝલ ઇધી અને સાદ ઇધીની સલાહ પર છોડવામાં આવેલ ભારતીય માછીમારોને કૈંટોન્મેંટ રેલવે સ્ટેશન લાવવામાં આવ્યાં કે જ્યાંથી તેઓને બસમાં બેસાડીને લાહોર લઇ જવામાં આવ્યાં.
આઝાદ કરવામાં આવેલ ભારતીયોને પાંચ હજાર રૂપિયા ઇધી ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યાં અને તેઓને વિશેષ બસ દ્વારા વાઘા બોર્ડર મોકલવામાં આવ્યાં. બન્ને દેશો વચ્ચે સદભાવના સંદેશને ધ્યાને રાખીને પાકિસ્તાન 360 ભારતીય કેદીઓને આઝાદ કરવાની જાહેરાત કરી ચૂકેલ છે. જેમાં એપ્રિલ દરમ્યાન છોડવામાં આવેલ 355 માછીમારો અને પાંચ ભારતીય નાગરિકો શામેલ છે. જાન્યુઆરીમાં બન્ને દેશોએ કેદીઓની યાદીનું આદાન-પ્રદાન કર્યુ હતું કે જે અનુસાર ભારતની જેલોમાં 347 પાકિસ્તાની કેદીઓ બંધ હતાં કે જેમાં 249 નાગરિક અને 98 માછીમારો હતાં.