સોમવારે એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીન એક મિશન હેઠળ ચીન પર વિવાદ પેદા કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે પાકિસ્તાનને મરચા લાગ્યા છે અને નિવેદન આપતા કહ્યું છે કે, પાકિસ્તાને આ ટિપ્પણીને બિનજરૂરી અને બેજવાબદાર ગણાવી છે.
પાકિસ્તાને આ ટિપ્પણીને બિનજરૂરી અને બેજવાબદાર ગણાવી
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ટિપ્પણી બતાવે છે કે તેમની સરકાર પાકિસ્તાન પ્રત્યે કેટલો ઓબ્સેસ્ડ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ પાકિસ્તાન-ચીન મિત્રતા સામે ભારતના કથિત પ્રચારની ટીકા કરી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં એ કહેવું હાસ્યાસ્પદ છે કે વિસ્તારવાદી નીતિને પગલે ચાલતા અને આતંકવાદને પ્રોત્સાહિત કરતો દેશ અન્ય દેશો પર આવા આક્ષેપો કરી રહ્યો છે.
વૈશ્વિક સમુદાય જાણે છે કે....
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, "વૈશ્વિક સમુદાય જાણે છે કે આરએસએસ-બીજેપીની તકવાદી સરકાર આ ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે." ભારત માત્ર પડોશી દેશો સાથે સરહદ વિવાદો ઉભા કરી રહ્યું નથી, પરંતુ તેમના શાંતિપૂર્ણ ઠરાવથી પણ ભાગવા લાગ્યો છે.
ભારતે પોતાનો આક્રમક એજન્ડા છોડી દેવો જોઇએ
પાકિસ્તાને વધુમાં કહ્યું કે, હિંદુ ઉગ્રવાદીઓ અને સંયુક્ત ભારતની વિચારધારાને સાધન તરીકે ઉપયોગ કરીને આ પ્રદેશની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકવાને બદલે ભારતે પોતાની ભૂલો સુધારવી જોઈએ. ભારતે પોતાનો આક્રમક એજન્ડા છોડી દેવો જોઇએ અને પડોશી દેશો સાથે સરહદ વિવાદનું સમાધાન કરવું જોઈએ.
શું કહ્યું હતું રાજનાથ સિંહે....
રક્ષામંત્રી રાજનાથસિંહે LAC પર ટેન્શનની વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે, પાકિસ્તાન બાદ હવે ચીન પણ સરહદ પર એક મિશન અંતર્ગત વિવાદ પેદા કરી રહ્યું છે, પરંતુ દેશ આ સંકટનો દ્રઢતાથી સામનો કરવા સક્ષમ છે. નોંધનીય છે કે સોમવારે રક્ષામંત્રી રાજનાથસિેહ બૉર્ડર રૉડ ઑર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા 44 પુલ અને અરુણાચલ પ્રદેશના નેચિફુ ટનલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યો છે.
પાકિસ્તાન,ચીન કરે છે વિવાદ
આ પ્રસંગે તેમણે દુશ્મન દેશ અંગે પોતાનો મત વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે 'આપણી ઉત્તર અને પૂર્વ બોર્ડર પર પેદા કરવામાં આવેલી સ્થિતિઓથી પણ તમે સારી રીતે વાકેફ છો. પહેલા પાકિસ્તાન હવે ચીન તરફથી એક મિશન અંતર્ગત સરહદ પર તણાવ ઉભો કરાઈ રહ્યો છે. આ દેશો સાથે આપણી લગભગ 7 હજાર કિલોમીટરની સરહદ મળે છે, જ્યાં અવાર-નવાર તણાવ બનેલો રહે છે.
ભારત તમામ પડકારોનો કરશે સામનો
રાજનાથ સિંહે કહ્યું કે, 'દેશ દરેક વિસ્તારમાં કોવિડ 19ના કારણે પેદા થયેલી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ત્યારે દુશ્મન દેશો પણ ભારતની મુશ્કેલીઓ વધારવાનો સતત પ્રયાસ કરી રહી છે પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ તમામ પડકારોને ઝીલવા સક્ષમ છે અને આ તમામ મુશ્કેલીનો બહાદુરીપૂર્ણ સામનો કરવા સેના સક્ષમ છે.'