પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવનિયુક્ત સરકારે પોતાના પવિત્ર ધર્મ ગ્રંથોને કંઠસ્થ કરવા પર અલ્પસંખ્યક સમુદાયના કેદીઓની સજા ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
કેદીઓને કંઠસ્થ કરવાના રહેશે ધાર્મિક ગ્રંથો, તેના આધારે મળશે છૂટ
મુસ્લિમોનો હવાલો આપી ઈસાઈ કેદીએ કરી હતી અરજી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવનિયુક્ત સરકારે પોતાના પવિત્ર ધર્મ ગ્રંથોને કંઠસ્થ કરવા પર અલ્પસંખ્યક સમુદાયના કેદીઓની સજા ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે ગુરૂવારે મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીને પ્રાંતની જેલમાં બંધ ઈસાઈ, હિન્દુ અને સિખ કેદીઓની સજામાં ત્રણથી 6 મહિનાની છૂટ આપવા માટે સમરી મોકલી છે.
એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પંજાબ સરકારે ગૃહ વિભાગને ઈસાઈ અને હિન્દુ કેદીઓને તેમના પવિત્ર ગ્રંથો- બાઈબલ અને ભગવત ગીતાને કંઠસ્થ કરવા પર તેમની સજામાં 3થી 6 મહિના સુધીની છૂટ આપવાનો પ્રસ્તાવ મુખ્યમંત્રીને મોકલ્યો છે. પંજાબની જેલમાં સેવાની સત્તાવાર વેબસાઈટ અનુસાર પવિત્ર કુરાનને યાદ કરનારા મુસ્લિમ કેદીઓની સજાનો સમય 6 મહિનાથી બે વર્ષ સુધીની છૂટ મળે શકે છે.
સારાંશને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવ્યો
અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રીની મંજૂરી બાદ સારાંશને કેબિનેટની મંજૂરી માટે મોકલવામા આવશે. ત્યાર બાદ ગૃહ વિભાગ હિન્દુ અને ઈસાઈ કેદીઓની સજામાં ઘટાડા સંબંધિત નોટિફિકેશન જાહેર કરશે. તેમણે કહ્યું કે, આ રીતે અલ્પસંખ્યક સમુદાય સાથે સંબંધ રાખનારા કેદીઓને પોતાના ધર્મ ગ્રંથોનુ અધ્યયન કરવા માટે પ્રેરણા આપવામાં આવશે.
એક ઈસાઈ કેદીએ આપી હતી અરજી
માર્ચમાં, લાહોર હાઈકોર્ટે પંજાબ સરકાર પાસેથી અલ્પસંખ્યક કેદીઓને સજામાં છૂટ આપવાની જોગવાઈ સંબંધિત રિપોર્ટ માગ્યો હતો. એક ઈસાઈ અરજીકર્તાએ પાકિસ્તાની જેલ નિયમ 1978ના નિયમ 125 મુજબ મુસલમાનોને આપવામાં આવતી છૂટનો હવાલો આપતા અન્ય ધર્મના કેદીઓને પણ આવી જ રીતે છૂટ આપવાની જોગવાઈ કરવાની માગ કરી હતી. સત્તાવાર અનુમાન અનુસાર, હાલમાં પંજાબ પ્રાંતની 34 જેલોમાં ઈસાઈ, હિન્દુ અને સિખ સહિત 1188 અલ્પસંખ્યક કેદીઓ છે.