પાકિસ્તાનના PM ઇમરાન ખાનની ખુરશી સંકટમાં મૂકાઇ ગઇ છે. વિપક્ષી દળોએ ઇમરાન વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેની પર હવે 28 માર્ચનાં રોજ વોટિંગ થશે.
પાકિસ્તાનના PM ઇમરાન ખાન મુશ્કેલીમાં
વિપક્ષી દળોએ ઇમરાન વિરૂદ્ધ રજૂ કર્યો છે અવિશ્વાસનો પ્રસ્તાવ
ગમે તે થાય પણ રાજીનામું તો નહીં જ આપું : ઇમરાન ખાન
ઈમરાન ખાન રાજકીય રીતે સક્રિય રહેવા માટે છેલ્લાં કેટલાંય સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે. ત્યારે વિરોધ પક્ષો એવો દાવો કરી રહ્યું છે કે, સંસદમાં તેમની પાસે બહુમતી નથી કારણ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સરકારના સાથીઓએ તેમનો સાથ છોડી દીધો છે.
વિરોધ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં ઈમરાન ખાનને રાજીનામું આપવા કહ્યું હતું, પરંતુ ઈમરાન ખાને ના પાડી દીધી હતી. બુધવારે રાત્રે વડાપ્રધાન કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, 'હું રાજીનામું આપીશ નહીં, ભલે ગમે તે થાય.' તેમણે ઉમેર્યું હતું કે, તેઓ લડ્યા વિના આત્મસમર્પણ નહીં કરે. ઈમરાન ખાને સવાલ કર્યો હતો કે, તેઓ ‘બદમાશો’ના દબાણમાં આવીને નહીં ભાગે. ગુરુવારે રાત્રે, પાકિસ્તાનની સંસદના સચિવાલયે શુક્રવારના સત્ર માટે 15-પોઇન્ટનો એજન્ડા બહાર પાડ્યો કે જેમાં અવિશ્વાસ પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે.
ઈમરાન ખાન પર અર્થવ્યવસ્થાના ગેરવહીવટનો આરોપ છે અને બે આંકડાઓમાં આસમાને જઇ ચડેલી મોંઘવારી જવાબદાર છે. તેનાથી પાકિસ્તાનમાં અસંતોષ વધ્યો કે જે હવે રાજકીય સંકટમાં ફેરવાઈ ગયો છે. વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ રાજકીય વેરભાવ પણ તેનું એક મોટું કારણ છે. વિપક્ષના મોટા ભાગના નેતાઓ કોઈને કોઈ રીતે જેલમાં જઈ ચૂક્યાં છે અને વિપક્ષ એક થવાનું કારણ પણ આ જ બન્યું છે.
ઇમરાન ખાનની પાર્ટીના લગભગ 20 સભ્યો તેઓનો સાથ છોડી ચૂક્યાં છે
અહેવાલો અનુસાર, ઇમરાન ખાનની પાર્ટીના લગભગ 20 સભ્યો મોંઘવારી પર કાબુ મેળવવામાં નિષ્ફળતાને કારણે તેઓનો સાથ છોડી ચૂક્યાં છે અને તેઓ ઇમરાન ખાન વિરુદ્ધ વોટ કરી શકે છે. ઈમરાન ખાને કોર્ટમાં અરજી દાખલ કરી છે કે જેમાં તેમણે પાર્ટી છોડનારાઓ પર આજીવન પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાથે જ તેઓએ અલગ થયેલા લોકોને ફરીથી સત્તાધારી પક્ષમાં પરત ફરવાની અપીલ પણ કરી છે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય સંસદમાં કુલ 342 સભ્યો છે. જેમાં બહુમતનો આંકડો 172 છે. ઈમરાન ખાનની પીટીઆઈની ગઠબંધન સરકાર 179 સભ્યોના સમર્થનથી રચાઇ હતી. જેમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનાં 155 સભ્યો હતાં.
ઇમરાન ખાન પાસે હવે શક્તિશાળી પાકિસ્તાની સૈન્યનું પણ સમર્થન નથી
સરકાર સાથે ગઠબંધનમાં સામેલ 3 મુખ્ય સહયોગીઓએ સંકેત આપ્યાં હતાં કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષને સમર્થન આપી શકે છે. વિપક્ષ પાસે કુલ 163 બેઠકો છે અને તેઓ ઇમરાન ખાનની સરકારને સરળતાથી પલટાવી શકે છે. જો પીટીઆઈથી અલગ થયેલ સાંસદ અને સરકાર સાથેના ગઠબંધનમાં સામેલ સહયોગી ઇમરાન ખાન વિરૂદ્ધ વોટ આપે છે. કોઈ પણ પાકિસ્તાની વડાપ્રધાને હજુ સુધી તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.
પાકિસ્તાનમાં આગામી ચૂંટણી 2023નાં અંતિમ મહિનાઓમાં યોજાશે પરંતુ ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે એવો સંકેત આપ્યો હતો કે, રાજકીય સંકટને શાંત કરવા માટે સામાન્ય ચૂંટણી સમયની પહેલાં યોજી શકાય છે.
ઇમરાન ખાન હવે કથિત રીતે પાકિસ્તાનની શક્તિશાળી સેનાના ખાસ પણ નથી રહ્યાં. એવું માનવામાં આવે છે કે, ઇમરાન ખાનને સત્તામાં પરત લાવવા પાછળ સેનાનો મોટો હાથ હતો. પાકિસ્તાનમાં સેના દશકાઓથી નાગરિક રાજનીતિમાં દખલગીરી કરી રહ્યું છે. જો કે, ઇમરાન ખાન અને સેના, બંને તરફથી આ દાવાઓને નિરાધાર ગણવામાં આવી રહ્યાં હતાં.