પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, 'હું રાજીનામું આપી દઇશ પરંતુ કોઇની સામે ઝૂકીશ નહીં.' એવામાં તેઓએ ભારત સરકારની પ્રશંસા કરી.
પાકિસ્તાનમાં ઈમરાનની ખુરશી ખતરામાં
રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાને કર્યાં ભારતના વખાણ
ઈમરાને કહ્યું- હિંદુસ્તાનની વિદેશ નીતિને સલામ
પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં હાલમાં ભારે હલચલ મચી ગઈ છે. અર્થાત ઈમરાન સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. વડાપ્રધાન ઈમરાન ખાનને સરકાર પડી જવાનો ડર સતાવી રહ્યો છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના જોરદાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, 'ભારતની નીતિ મુક્ત છે. ભારતની વિદેશ નીતિ ત્યાના લોકોના હિતમાં છે.' વધુમાં કહ્યું કે, 'ભારતની વિદેશ નીતિ કોઈ દબાણમાં નથી. હું ભારતની નીતિની પ્રશંસા કરું છું.'
આ સાથે જ પોતાની વિપક્ષી પાર્ટી પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું કે, 'વિપક્ષી પાર્ટી ભારત સાથે મળેલી છે. આ સાથે ઈમરાન ખાને વિપક્ષને ડાકુ કહ્યાં. તેઓએ કહ્યું કે, 'હું રાજીનામું આપીશ પણ કોઈની સામે ઝૂકીશ નહીં.' ઈમરાન ખાને કહ્યું કે, 'હું પૈસા આપીને મારી સરકાર બચાવવા માંગતો નથી.' તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈમરાન ખાનની સરકાર ગમે ત્યારે પડી શકે છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના જ સાંસદો તેમની વિરુદ્ધ ઉભા છે. આવી સ્થિતિમાં તેમની ખુરશી ગુમાવવાનું જોખમ વધી ગયું છે.
લગભગ બે ડઝન સાંસદોએ બળવો કર્યો
પાકિસ્તાનમાં વિપક્ષી દળો દ્વારા ઇમરાન ખાન સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યાની વચ્ચે સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના લગભગ બે ડઝન ધારાસભ્યોએ બળવાખોર વલણ અપનાવ્યું છે. જો કે, ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારે વિરોધ પક્ષો પર સાંસદોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. બળવાખોર સાંસદો ઈસ્લામાબાદના સિંધ હાઉસમાં રોકાયા છે, જે સિંધ સરકારની મિલકત છે. સિંધમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર છે.
સાંસદોને કારણ બતાવો નોટિસ જારી કરાઇ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ શનિવારે કથિત પક્ષપલટાને લઈને તેના અસંતુષ્ટ સાંસદોને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ સાથે, જ તેઓને 26 માર્ચ સુધીમાં ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું હતું કે શા માટે તેમને પક્ષપલટો જાહેર કરવામાં ન આવે અને નેશનલ એસેમ્બલીના સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવે.