પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નેશનલ ડે પર પીએમ ઈમરાન ખાનને શુભકામનાઓ પાઠવતો એક પત્ર લખ્યો હતો, જેનો પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને પીએમ મોદીનો આભાર તો માન્યો જ છે, પણ સાથે સાથે જ ફરીથી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. પોતાના પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે સ્થિરતા માટે જમ્મુ કાશ્મીર સહિત બધા મુદ્દાનો ઉકેલ જરૂરી છે.
દરેક મુદ્દાનું સમાધાન જરૂરી છે : ઈમરાન ખાન
પાકિસ્તાની વડાપ્રધાને વધુમાં લખ્યું છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જમ્મુ કાશ્મીર સહિતના દરેક મુદ્દાનું સમાધાન જરૂરી છે, આગળ લખતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની જનતા ભારત સહિતના દરેક પાડોશી દેશોની સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે.
ઈમરાન ખાને વધુમાં લખ્યું કે રચનાત્મક વાતો માટે સકારાત્મક માહોલ જરૂરી છે, અને સાથે જ પાકિસ્તાન શા માટે નેશનલ ડે મનાવે છે તેનો પણ પાકિસ્તાની પીએમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પીએમ મોદીએ પાકિસ્તાનના નેશનલ ડેના અવસરે ઈમરાન ખાનને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો અને પાડોશી દેશોની વચ્ચે એકબીજા પર વિશ્વાસની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત, પાકિસ્તાનની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ ઈચ્છે છે, અને આના માટે આતંકમુક્ત માહોલ જરૂરી છે.