પાકિસ્તાનમાં રાજકીય રમખાણો શરુ, આજે ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે તો બીજી તરફ નવાઝ શરીફ થયા એક્ટિવ
પાકિસ્તાનમાં આજે રસાકસીનો જંગ
ઇમરાનખાને સંસદમાં સાબિત કરવાની છે બહુમતી
વોટિંગ દરમિયાન ઇમરાન હારે તેવી શક્યતા
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે.પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ઇમરાન ખાનની સરકારની જરૂરથી વિકેટ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. નેશનલ એસેમ્બલીમાં આજે ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. મહત્વનું છે કે તાજેતરમાં જ ઈમરાન ખાને સંકલ્પ લીધો હતો કે તેઓ છેલ્લા બોલ સુધી પાકિસ્તાન માટે લડી રહ્યા છે અને આગળ પણ લડશે.
શું વોટિંગ દરમિયાન હારશે ઇમરાન ?
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યુ છે કે પીટીઆઇમાં રાષ્ટ્રીય તેમજ પ્રાંતીય વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામા પર વિચાર થઇ રહ્યો છે. આવુ એટલા માટે પણ થવાની શક્યતા છે કારણ કે ઇમરાન ખાન અવિશ્વાસના પ્રસ્તાવ માટેના વોટિંગમાં હારી શકે છે.
નવાઝ શરીફ થયા એક્ટિવ
તો આ તરફ વિપક્ષ ઇસ્લામાબાદમાં રેલી કાઢી શકે છે. જેને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ વર્ચ્યુઅલ રીતે લંડનથી સંબોધિત કરી શકે છે. ત્યારે અહીં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યુ છે કે ઇમરાન ખાન સંકટમાં આવ્યા બાદ નવાઝ શરીર લંડનથી ઘણા એક્ટિવ થઇ ગયા છે.
તો શું શાહબાઝ શરીફ પ્રધાનમંત્રી બનશે ?
માનવામાં આવી રહ્યું છે કે શનિવારે ઈમરાનની સરકાર પડી શકે છે કારણ કે પાકિસ્તાનની સંસદના 342 સભ્યોની બહુમતી માટે 172 સાંસદો જરૂરી છે. પરંતુ ઈમરાન પાસે બહુમતી નથી. બીજી તરફ 199 સાંસદો સાથે ઈમરાન સરકાર પર વિપક્ષનું વર્ચસ્વ છે. PML-Nના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બને તેવી શક્યતા છે.
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવાઝ શરીફે કહ્યું હતું કે, હું પાકિસ્તાનના લોકોને અભિનંદન આપવા માંગુ છું. આજે એક એવી વ્યક્તિમાંથી આપણને મુક્તિ મળી છે કે જેને પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ અને બરબાદ કરી દીધું છે, પાકિસ્તાનને કંગાળ કરીને દેખાડી દીધું, ઉપરવાળાનો આભાર કે તેનાથી મુક્તિ મળી.મહત્વનું છે કે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીએમ ઈમરાન ખાનને એક મોટો ઝટકો આપતા દેશની સંસદને બહાલ કરવાનો ઓર્ડર આપ્યો હતો.
70 સાંસદો રાજીનામું આપવા નથી માંગતા
પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીમાં 70 સાંસદો રાજીનામું આપવા નથી માંગતા.