પાકિસ્તાનમાં વધતી મોંઘવારીથી સામાન્ય જતાની સાથો સાથ સરકાર માટે પણ મુસીબત બની ચૂકી છે. તેવામાં હવે પાકિસ્તાનના મંત્રીએ જનતાને ઓછું જમવાની સલાહ આપી છે.
પાકિસ્તાનમાં સ્થિતિ ચિંતાજનક
પાકિસ્તાન પર મોંઘવારીનો માર
મંત્રીએ કહ્યું- ઓછું જમો
પાકિસ્તાનમાં ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જેનાથી સામાન્ય લોકોમાં ખુબ જ ગુસ્સો છે. પરંતુ સરકાર દાઝ્યા પર ડામ લગાવી રહી છે. મોંઘવારીને લઇને પાકિસ્તાનના મંત્રી અમીન ગંડાપુરે હાલમાં એક એવું નિવેદન આપ્યું જેનાથી લોકો વધુ નિરાશ થયા છે.
મંત્રીએ આપી ઓછું ખાવાની સલાહ
Jio ટીવીના સમાચાર અનુસાર, પાકિસ્તાન સરકારમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલાના મંત્રી અમીન ગંડાપુરે એક જનસભાને સંબોધિત કરતા લોકોને ઓછું ખાવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શું આપણે દેશ માટે આટલી કુરબાની ન આપી શકીએ. હું જો ચામાં 100 દાણા ખાંડ નાખી અને 9 દાણા ઓછા નાખીશ તો શું ચા ઓછી મીઠી થઇ જશે. જો હું રોટલીના 100 કોળીયા ખાવ છું તો શું તેમાંથી 9 કોળીયા ઓછા ન ખાઇ શકું.
ગુલામીથી બચાવવા માટે આપણે કુરબાની આપવી પડશેઃ મંત્રી
મંત્રીએ વધુમાં કહ્યું કે, જો 9 ટકા મોંઘવારી છે તો શું હું પોતાની કોમ, પોતાના બાળકો માટે આટલી કુરબાની ન આપી શકું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની વસ્તી અને પોતાના બાળકોને ગુલામીથી બચાવવા માટે આપણે કુરબાની આપવી પડશે. હવે તમારે લોકોએ આ નિર્ણય કરવાનો છે.
મંત્રીએ બુધવારે આ નિવેદન આપ્યું છે, પરંતુ હવે આ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો સતત તેમની ભારે આલોચના કરી રહ્યા છે.