આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને પોતાના લોકોને ચાનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી છે. જેથી આયાત પરનો ખર્ચ ઘટાડી શકાય
પાકિસ્તાનના મંત્રી લોકોને ઓછી ચા પીવાની કરી રહ્યાં છે અપીલ
ચાની આયાત પર ખર્ચ બંધ કરવાનો પ્રયાસ
બજાર પણ વહેલા બંધ કરવાનો કરી રહ્યું છે આગ્રહ
પાકિસ્તાનના આયોજન અને વિકાસ મંત્રી અહેસાન ઇકબાલે લોકોને ચાનો વપરાશ ઘટાડવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે આ પગલાંથી સરકારને આયાત ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. પાકિસ્તાનની સરકાર લોન લઈને ચાની આયાત કરી રહી છે અને તેના પર આયાત ખર્ચ ઘટાડવા માંગે છે.
Watch:#Pakistan minister Ahsan Iqbal requesting the people to reduce the consumption of tea by one or two cups to save import cost & forex. pic.twitter.com/pn7lHAyF6t
મંત્રી અહેસાન ઇકબાલે દેશના વેપારીઓ અને લોકોને કરી અપીલ
મંત્રી અહેસાન ઇકબાલે દેશના વેપારીઓ અને લોકોને અપીલ કરી છે કે તેઓ દેશને સંકટની સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરે. તેમણે વેપારીઓને કહ્યું છે કે, દેશમાં વીજ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે તેથી 8:30 વાગ્યા સુધીમાં બજાર બંધ કરી દેવું જોઈએ. પાકિસ્તાના એક સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર મંગળવારે રાજધાની ઇસ્લામાબાદમાં મીડિયા સાથે વાત કરતા અહેસાન ઇકબાલે કહ્યું, "હું દેશના લોકોને અપીલ કરું છું કે તેઓ દરરોજ એક કે બે કપ ચાનો વપરાશ ઘટાડે, કારણ કે અમે ચાની આયાત માટે પણ પૈસા ઉધાર લઈએ છીએ."
પાકિસ્તાને ખર્ચ ઘટાડવા 41 વસ્તુઓની આયાત પર 2 મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સરકારે આયાત ખર્ચ ઘટાડવા માટે ગયા મહિને 41 વસ્તુઓની આયાત પર બે મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તેનાથી ખાસ ફાયદો થતો જણાતો નથી. આ આયાત પ્રતિબંધથી આયાત બિલમાં માત્ર 600 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ કુલ આયાત ખર્ચના 5 ટકા છે. સરકારના આ નિર્ણયથી કાર, મોબાઇલ ફોન, કોસ્મેટિક્સ, સિગારેટ, ફૂડ પ્રોડક્ટ્સ, કેટલાક કપડા અને કોસ્મેટિક્સની આયાત પર અસર પડી છે.
ઈમરાનખાનની સરકાર પર અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનો લગાવ્યો આરોપ
મીડિયા સાથે વાત કરતા ઇકબાલે પાકિસ્તાનની પાછલી સરકાર પર અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. "પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટીએ દેશના અર્થતંત્રને નષ્ટ કરી દીધું છે અને એમ કહીને તેમના ગુનાનો સ્વીકાર કર્યો છે કે અમારી સરકાર સત્તામાં આવી છે અને ફસાઈ ગઈ છે.શેહબાઝ શરીફના મંત્રીએ કહ્યું કે તેઓ દેશને બચાવવા માટે સત્તામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આગામી કેટલાક મહિનાઓમાં અર્થતંત્ર સ્થિર થઈ જશે. મંત્રી ઇકબાલે એમ પણ કહ્યું હતું કે તેઓ કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકી રહ્યા છે અને ખેડૂતોને ઘઉં, ખાંડ અને કપાસના ઉત્પાદનને વેગ આપવા માટે પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને પામતેલનું ઉત્પાદન વધારવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. જેથી દેશને તેની નિકાસથી વિદેશી વિનિમય મળી શકે