ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી. એક તરફ આર્થિક સંકટ વધી રહ્યું છે તો બીજી તરફ વિનાશકારી પૂર તબાહી મચાવી રહ્યું છે. અહીં મેલેરિયાનો રોગચાળો ફાટી નીકળ્યો છે.
પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધુ એક વધારો થયો
આર્થિક સંકટ સાથે મેલેરિયા રોગચાળામાં વધારો
આવનાર સમયમાં ભારતની મદદ માંગી શકે છે પાકિસ્તાન
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. એક તરફ આર્થિક સંકટ વધી રહ્યું છે તો બીજી તરફ વિનાશકારી પૂર તબાહી મચાવી રહ્યું છે. અહીં મેલેરિયાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પાસે મચ્છરથી પોતાને બચાવવા માટે મચ્છરદાની પણ નથી. આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને ભારતને યાદ કરી રહ્યું છે. ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે પાકિસ્તાનમાં ભારત સાથે વેપારનો માર્ગ ખોલવાની માંગ અત્યારથી જ જોર પકડી રહી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર વડાપ્રધાન શેહબાઝ શરીફની સરકાર પણ ભારત સાથે વેપાર કરવા તૈયાર છે, જેથી લોકોની મુશ્કેલીઓ ઓછી થઇ શકે.
પાણીજન્ય રોગચાળામાં સક્રિય વધારો થયો
પાકિસ્તાનમાં નવી સમસ્યાનું નામ આજકાલ મલેરિયા છે, જેના કેસ રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાના કારણે ઝડપથી વધી રહ્યા છે. સરકારી આંકડા અનુસાર, સોમવારે નવ લોકોના મોત ચેપી અને પાણીજન્ય રોગોથી થયા હતા. આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 318 થઈ ગઈ છે. પૂરમાં અત્યાર સુધીમાં 1545 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 551 બાળકો અને 318 મહિલાઓનો સમાવેશ થાય છે. દૂષિત પાણીમાંથી જન્મેલા મચ્છરોને કારણે મેલેરિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
71 લાખ મચ્છરદાનીની જરૂર
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે શેહબાઝ સરકાર પાસે ભારતમાંથી મચ્છરદાની આયાત કરવાની મંજૂરી માંગી છે. પાકિસ્તાનના 26 જિલ્લામાં 71 લાખ મચ્છરદાનીની તત્કાલ જરૂરિયાત છે. અહીંના સિંધ અને બલુચિસ્તાનના પૂરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા બે મહિનામાં બે લાખ લોકોને મેલેરિયાનો ચેપ લાગ્યો છે. જેમાંથી 22 ટકા કેસ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પ્રકારના છે. જૂનના મધ્યથી પાકિસ્તાન પૂરનો સામનો કરી રહ્યું છે, જેના કારણે 33 મિલિયન લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.
પાકિસ્તાનમાં પૂરના પાણી ફરી વળ્યા
આ તબાહી બાદ ડોક્ટરો અને મેડિકલ વર્કર પાણીજન્ય રોગો અને અન્ય ચેપની સારવાર કરી રહ્યા છે. જો કે હવે અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે તમામ નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીનું સ્તર હવે સામાન્ય થઈ રહ્યું છે. નિષ્ણાતોએ પૂરની ગંભીર પરિસ્થિતિ માટે આબોહવા પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત સિંધ પ્રાંતના આરોગ્ય વિભાગનું કહેવું છે કે રવિવારે પ્રાંતમાં મેલેરિયાના કુલ 68,418 દર્દીઓની પુષ્ટિ થઈ છે.