મોંઘવારીના કારણે પાયમાલ થઈ ગયેલા પાકિસ્તાને ફરીથી ભારત સાથે વેપાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાને ફરી વેપાર શરૂ કરવાનો લીધો નિર્ણય
કેબિનેટ દ્વારા કમિટી રિપોર્ટને આપવામાં આવી મંજૂરી
ઓગસ્ટ 2019થી ઠપ છે વેપાર
કપાસની આયાત કરશે પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારને લઈને ઈમરાન ખાન સરકારની કેબિનેટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક મામલા સાથે જોડાયેલી કેબિનેટ દ્વારા ભારત સાથે વેપારને મંજૂરી આપવામાં આવી છે. હવે જૂન મહિનાથી પાકિસ્તાન ભારતથી કપાસની આયાત કરશે. આ સિવાય માનવામાં આવી રહ્યું છે કે ખાંડને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે.
કમિટીની રિપોર્ટને મંજૂરી
નોંધનીય છે કે મોંઘવારીએ પાકિસ્તાનની કમર તોડી નાંખી છે ત્યારે પાકિસ્તાનમાં એક કમિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સાથે કપાસ અને ચીન સાથે વેપાર શરૂ કરવો જોઈએ. હવે આ કમિટીની રિપોર્ટને પાકિસ્તાની સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે 19 મહિના બાદ ફરી ભારત સાથે પાકિસ્તાનનો આધિકારિક વેપાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
પાકને થઈ રહ્યું છે નુકસાન
વર્ષ 2019માં ધારા 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને ભારત સાથે વેપાર બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજી તરફ ભારતે પણ પુલવામાં હુમલા બાદથી પાકિસ્તાનથી આવતી દરેક ચીજો પર 200 ટકા ડ્યૂટી લગાવી દીધી. બંને દેશ વચ્ચે મહિનાઓ સુધી વેપાર બંધ છે પરંતુ હવે પાકિસ્તાનને પોતાનો જ નિર્ણય ભારે પડી રહ્યો છે. ખાંડ અને કપાસ મામલે પાકિસ્તાનને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ફરીથી ભારત સાથે પાકિસ્તાન વેપાર શરૂ કરશે.
શું ફરી સુધરી રહ્યા છે સંબંધો?
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ ઓછો થઈ રહ્યો હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા દ્વારા ભારત સાથે સારા સંબંધોનો પક્ષ લેવામાં આવ્યો અને હાલમાં જ પીએમ મોદીએ ઈમરાન ખાન જ્યારે કોરોના સંક્રમિત થયા ત્યારે તેમને સ્વાસ્થ્ય લાભ માટે તે માટે કામના કરી હતી. પાકિસ્તાની નેશનલ ડે પર પીએમ મોદીએ શુભકામનાઓ પણ પાઠવી હતી અને પત્ર લખ્યો હતો. પીએમ મોદીના પત્રનો જવાબ ઈમરાન ખાને પણ પત્ર લખીને જ કર્યો. તેમણે પીએમ મોદીનો આભાર માન્યો તથા એમ પણ કહ્યું પાકિસ્તાન ભારત સાથે શાંતિની ઈચ્છા રાખે છે.