ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ઢાકા અને કાઠમાંડુમાં તહેનાત બે ટોચના પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી લીધા છે. આ અધિકારીઓમાંથી એક પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનની નજીકનો અને વિશ્વાસુ છે, જે નેપાળમાં પાકિસ્તાનના રાજદૂતના પદ પર તહેનાત છે. જ્યારે બીજો અધિકારી ઢાકામાં પાકિસ્તાની દૂતાવાસમાં ડિફેન્સ એટેચી છે.
તમામ દેશવિરોધી ગતિવિધિઓ પર એજન્સીઓની બાજનજર
જમ્મુ-કાશ્મીરના મુદ્દે દુષ્પ્રચાર કરી લોકોને ભડકાવ્યા
કાશ્મીરની પરિસ્થિતિ અંગે સાવ ખોટી-ભ્રામક તસ્વીર રજૂ કરી
હકીકતમાં, તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો જ પ્રતિનિધિ છે. આ બંને પાકિસ્તાની અધિકારીઓ રાજદ્વારી ચેનલોનો દુરૂપયોગ કરીને નકલી ભારતીય ચલણી નોટો (એફઆઈસીએન)ની દાણચોરી કરવાનું સૌથી મોટું માધ્યમ બન્યા છે. આ સાથે જ પાકિસ્તાની સેનાના આ બે ઉચ્ચ અધિકારીઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-37૦ હટાવ્યા બાદ ભારત વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પણ લાગેલા છે.
તમામ દેશવિરોધી ગતિવિધિઓ પર એજન્સીઓની બાજનજર
ભારતીય ગુપ્તચર એજન્સી આઈબીના અહેવાલના આધારે ભારત-નેપાળ સરહદ પર સશસ્ત્ર સીમા બલ (એસએસબી)ને એલર્ટ કરવામાં આવ્યું છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ને પણ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ-37૦ હટાવ્યા બાદથી અન્ય કેન્દ્રીય સુરક્ષાદળોને પણ સરહદ પર તહેનાત કરવામાં આવ્યા છે. આ એજન્સીઓ સતત તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર બાજનજર રાખે છે.
જમ્મુ-કાશ્મીરના મુદ્દે દુષ્પ્રચાર કરી લોકોને ભડકાવ્યા
ગુપ્તચર અહેવાલો અનુસાર, નેપાળમાં પાકિસ્તાની રાજદૂત મઝહર જાવેદે 27 સપ્ટેમ્બરના રોજ કાઠમંડુના મહારાજગંજ સ્થિત પાકિસ્તાની દૂતાવાસના પ્રાંગણમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કાઠમંડુના પ્રભાવશાળી લોકોને જમ્મુ-કાશ્મીરના મુદ્દે દુષ્પ્રચાર કરીને ઉશ્કેરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ત્રીસ વરિષ્ઠ માનવાધિકાર કાર્યકર્તાઓ, બુદ્ધિજીવીઓ અને રાજદ્વારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાશ્મીરની પરિસ્થિતિ અંગે સાવ ખોટી-ભ્રામક તસ્વીર રજૂ કરી
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મઝહરે નેપાળી લૉબીને એમ કહીને ઉશ્કેરી હતી કે ભારત સરકાર કાશ્મીર ઘાટીમાં લોકો પર અત્યાચાર ગુજારીને માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારબાદ 3 ઓક્ટોબરે મઝહરે નેપાળના અખબાર 'નાગરિક' માં એક લેખ પણ લખ્યો હતો. જેમાં તેણે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વિશે સાવ ખોટી અને ભ્રામક તસવીર રજૂ કરી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓના કહેવા અનુસાર, મઝહર જાવેદે દૂતાવાસને આઈએસઆઈનો અડ્ડો બનાવી દીધો છે. તે ખુલ્લેઆમ અહીં આઈએસઆઈના કર્મચારીઓ, અધિકારીઓ અને સમર્થકોને આશ્રય આપે છે.
નેપાળમાં પાકિસ્તાની રાજદૂત પણ કરે છે આવું જ કામ
ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, ઢાકામાં પાકિસ્તાની દૂતાવાસના ડિફેન્સ એટેચી કર્નલ શફકત નવાઝ હકીકતમાં આઈએસઆઈનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, સ્થાનિક ગેંગસ્ટર સાથે સંપર્ક સ્થાપિત કરીને નકલી ભારતીય ચલણની સંગઠિત દાણચોરી કરવામાં તે એક મુખ્ય કડી પણ છે. તે ડી-કંપની (દાઉદ ઇબ્રાહિમ)ની ગેંગ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. જમ્મુ કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં કાર્યરત આઈએસઆઈના વિવિધ મોડ્યુલોને ફંડિંગ પૂરું પાડવામાં શફકત નવાઝની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેની ભૂમિકાનો પર્દાફાશ ત્યારે થયો હતો, જ્યારે મે, 2019માં કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 7.67 કરોડની નકલી ભારતીય ચલણી નોટો મળી આવી હતી. આ કેસમાં નેપાળ પોલીસે ડી કંપનીના સ્થાનિક સંચાલક યુસુફ અન્સારીની ધરપકડ કરી હતી.