પાકિસ્તાને ભારતની વિશ્વના શક્તિશાળી દેશો સાથે થઈ રહેલા હથિયારોના સોદા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને સમગ્ર દુનિયાના દેશોને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના દેશમાં કોઈ સંતુલન ન બગડે. પાકિસ્તાનન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મુહમ્મદ ફૈસલે જણાવ્યું કે તેઓ દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં હથિયારોની રેસની વિરૂદ્ધમાં છે.
ભારતને મદદ કરનારા દેશોએ જોવું જોઈએ કે આ વિસ્તારમાં અસંતુલન ઊભુ ન થાય. સાથો સાથ એવું પણ કહ્યું કે તેમનું સુરક્ષાબળ કોઈ પણ પ્રકારના આક્રમણ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
એક સવાલના જવાબમાં એવું પણ જણાવ્યું કે પાકિસ્તાન પોતાના પાડોશી દેશ ભારત સાથે જમ્મૂ-કશ્મીર મુદ્દે સર ક્રીક સિયાચીન અને આતંકવાદ સહિતના મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છે.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન ભારતના મહેમાન થયાં હતા. તેમની ભારત યાત્રા સમયે ભારત અને રશિયા વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ S-400 પર ડીલ થઇ હતી.
રશિયા આ સિસ્ટમ ભારતને ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ સાથે જ અમેરિકા પણ આ ડીલ મામલે વિરોધમાં હતું અને રશિયાની આ સિસ્ટમ ખરીદનાર દેશ પર પ્રતિબંધ લાદવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જો કે ભારતે આ ડીલ કર્યા બાદ કહ્યું હતું કે તે પોતાના સહયોગી દેશોને ડેમેજ કરવા નથી માગતું.
ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પત્રકારો સાથે વાતચીત કરતા આ ડીલ મામલે કહ્યું કે ભારતને મદદ કરનાર દેશોએ જોવું જોઇએ કે તેમના આ પગલાને લીધે કોઇ ક્ષેત્રીય અસંતુલન ઉભું ના થાય આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાન અને તેના સુરક્ષાબળો કોઇપણ પ્રકારની આક્રમકતાનો જવાબ આપવા સંપુર્ણ રીતે સજ્જ છે.